બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલીને ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નજીવનનાં છ વર્ષ એકબીજા સાથે વીતાવ્યા બાદ બંને અલગ થઇ ગયાં, પરંતુ આ બંનેએ હંમેશાં આ સંબંધોનું સન્માન કર્યું છે. તેમની વચ્ચે આજે પણ દોસ્તીનો સંબંધ ટકેલો છે.
કલ્કિ આ અંગે દિલ ખોલતાં કહે છે કે અમારી વચ્ચે શું થયું? છ વર્ષના દામ્પત્યજીવન બાદ અમે શા માટે અલગ થયાં એ બધો અમારો પર્સનલ મામલો છે. અનુરાગે મને તેમની જિંદગીનાં છ વર્ષ આપ્યાં તે મારા માટે અત્યંત મહત્ત્વની વાત છે. તેઓ જે પણ છે તે રૂપમાં હું તેમની ઇજ્જત કરું છું, કેમ કે તેમણે મારી જિંદગી બદલી છે. અમે અલગ થયાં તેના અલગ કારણ હતાં. આજે પણ અમે એકબીજાના ઘણા સારા મિત્રો છીએ.
કલ્કિ કોઇ ફિલ્મમાં ઐતિહાસિક પાત્ર ભજવવા ઇચ્છે છે. તે કહે છે કે મને ઐતિહાસિક પાત્રો ભજવવા પસંદ છે, કેમ કે મને ઇતિહાસ ગમે છે. મને પુસ્તકો વાંચવાનો પણ ખૂબ જ શોખ છે. જો મને કોઇ વાસ્તવિક પાત્ર ભજવવા મળે તો મારા માટે આ ખૂબ જ દિલચસ્પ અને રોમાંચક હશે.
કલ્કિ હવે રીતેશ સીધવાની અને ફરહાન અખ્તરના એક્સલ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલી અને ડિરેક્ટર ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બોય’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં રણવીરસિંહ અને આલિયા ભટ્ટ પણ છે.