ગત તા. ૧ લી મે, ૨૦૧૮ ના રોજથી પ્રારંભાયેલા સુજલામ્ સુફલામ્ જળસંચયના રાજ્યવ્યાપી અભિયાન- ૨૦૧૮ ના સમાપન પ્રસંગે તા.૩૧ મી મે, ૨૦૧૮ ને ગુરૂવારના રોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વઘરાલી ગામે જિલ્લાનો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે પર્જન્ય યજ્ઞનું પણ આયોજન કરાયું છે. જેમાં ૧૧ જેટલા યજ્ઞકુંડમાં ૧૧૦ દંપતિઓ આ યજ્ઞમાં જોડાઇને આહૂતિ આપશે.
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાના અધ્યક્ષપદે ગઇકાલે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે સુજલામ સુફલામ જળસંચય અભિયાન સમાપન સમારોહના આગોતરા આયોજનના ભાગરૂપે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે યોજાયેલી ઉક્ત બેઠકમાં આ જાણકારી અપાઇ હતી.
બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ આ અભિયાનના સમાપનનું સુચારૂં આયોજન થાય તે માટે તેમણે સુક્ષ્માતિસુક્ષ્મ બાબતો અંગે પૂરતી કાળજી રાખવા અને સંબંધિત અધિકારીઓને સોંપાયેલી ફરજો અને જવાદબારીઓ સુપેરે અદા થાય તે જોવા પણ શ્રી નિનામાએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ બેકઠમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ડૉ. જીન્સી વિલીયમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, પ્રાંત અધિકારીશ્રી આર.એમ. ચૌધરી અને શ્રી ડી.એન. ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બ્રિજેશ મોડીયા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણામાં ભાગ લીધો હતો.