ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન સર્જાયેલા સંવેદનશીલ હત્યાકાંડ પૈકીના ચકચારભર્યા આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડ કેસમાં ગુજરાત હાઇકોર્ટે આજે અતિ મહત્વનો ચુકાદો જારી કરી જન્મટીપની સજા પામેલા ૧૮ પૈકીના ૧૪ આરોપીઓની જન્મટીપની સજા યથાવત્ રાખી છે. જયારે ત્રણ આરોપીઓને હાઇકોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. એક આરોપીનું કેસ ચાલવા દરમ્યાન મૃત્યુ નોંધાયું હતું. વધુમાં, હાઇકોર્ટે આ કેસના પાંચ આરોપીઓની સાત વર્ષની સજા પણ હાઇકોર્ટે કાયમ રાખી હતી જો કે, તેઓની સજા પૂરી થઇ ગઇ તેઓને પણ છોડી મૂકવા જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ બી.એન.કારીઆની ખંડપીઠે હુકમ કર્યો હતો. હાઇકોર્ટે તેના ચુકાદામાં સમગ્ર હત્યાકાંડને લઇ ગંભીર, માર્મિક અને સંવેદનશીલ નીરીક્ષણો પણ કર્યા હતા. ગોધરાકાંડ બાદ રાજયભરમાં ફાટી નીકળેલા કોમી તોફાનો દરમ્યાન તા.૧-૩-૨૦૧૮ના રોજ આણંદ જિલ્લાના ઓડ ગામે તોફાની ટોળાએ પીરાવાળી ભાગોળે આવેલા ઝાંપલીવાલા બિલ્ડિંગમાં આગ ચાંપી દેતાં ૨૩ લોકો જીવતાં ભૂંજાઇ ગયાં હતાં. ચકચારભર્યા આ કેસમાં ગત તા.૧૨-૪-૨૦૧૨ના રોજ આણંદ સેશન્સ કોર્ટના સ્પેશ્યલ જજ પૂનમસિંઘે આ કેસના ૧૮ આરોપીઓને જન્મટીપની આકરી સજા ફટકારી હતી, જયારે અન્ય પાંચ આરોપીઓને સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ સિવાય ૨૩ આરોપીઓને સ્પેશ્યલ કોર્ટ નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ ચુકાદા સામે આરોપીપક્ષ તરફથી નીચલી કોર્ટ દ્વારા ફટકારાયેલી સજાને પડકારતી અને સરકારપક્ષ તરફથી આરોપીઓની સજા વધારવા દાદ માંગતી જુદી જુદી અપીલો દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીના અંતે આજે ગુજરાત હાઇકોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવતાં નીચલી કોર્ટ દ્વારા જે ૧૮ લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી, તેમાંથી ૧૪ આરોપીઓની આજીવન કેદની સજા યથાવત રાખી હતી. જ્યારે આજીવન કેદની સજા પામેલા ત્રણ આરોપીની સજા કોર્ટે રદ કરી તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ઉપરાંત, આજીવન કેદની સજા પામેલ હરીશ પટેલ નામના વ્યક્તિનું કેસ ચાલવા દરમ્યાન મૃત્યુ નોંધાયું હતું. આ સિવાય જે પાંચ આરોપીઓને નીચલી કોર્ટે સાત-સાત વર્ષની સજા ફટકારી હતી, તે સજામાં હાઇકોર્ટે કોઇ વધારો કર્યો ન હતો. આ પાંચ આરોપીઓએ નીચલી કોર્ટે ફટકારેલી સજા પૂરી થઇ ગઇ હોઇ પાંચેયને મુકત કરવા પણ હાઇકોર્ટે હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓડ હત્યાકાંડ કેસ મામલે શરૂઆતમાં ખંભોળજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી અને બાદમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમને તપાસ સોંપવામાં આવી હતી. આ કેસમાં કુલ ૪૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકીના એક ભુરાભાઇ પટેલ નામના આરોપીનું ટ્રાયલ દરમ્યાન મોત નીપજયુ હતું.
આણંદ સેશન્સ કોર્ટના સ્પેશ્યલ જજ પી.બી.સિંઘે ગત તા.૧૨-૪-૨૦૧૮ના રોજ મહત્વનો ચુકાદો આપી કેસમાં ૨૩ આરોપીઓને સજા ફટકારી હતી અને ૨૩ આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા. જે ૨૩ આરોપીઓને સજા કરાઇ તેમાં ૧૮ને જન્મટીપની આકરી સજા અને પાંચ આરોપીઓને સાત-સાત વર્ષની સખત કેદની સજા ફરમાવવામાં આવી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ