કર્ણાટક ચૂંટણીમાં જંગને લઇને ભાજપ કોંગ્રેસ વ્યસ્ત છે. બાજી કોના હાથમાં લાગશે તેને લઇને સ્થિતિ સ્પષ્ટ થઇ રહી નથી પરંતુ નવેસરના ઓપિનિયન પોલની વાત કરવામાં આવે તો કર્ણાટકમાં કોઇપણ પાર્ટીને બહુમતિ મળશે નહીં. લોકનીતિ-સીએસડીએસ તથા એબીપી ન્યુઝના સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, કર્ણાટકમાં સત્તારુઢ કોંગ્રેસ પાર્ટી સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવશે. સર્વેમાં ભાજપ માટે રાહત આપવાની બાબત એ છે કે, કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો માસ્ટરસ્ટોક બિનઅસરકારક રહ્યો છે. લિંગાયત વોટ ભાજપની તરફેણમાં જઇ રહ્યા છે. પોલ મુજબ કોંગ્રેસ પાર્ટીને ૯૭ સીટો અને ભાજપને ૮૪ સીટો મળશે. જેડીએસને ૩૭ સીટો મળશે. અન્યના ખાતામાં ચાર સીટો જશે. સર્વેમાં સામેલ થયેલા લોકોના કહેવા મુજબ સિદ્ધારમૈયાએ સારુ કામ કર્યું છે જ્યારે ભાજપ સૌથી ભ્રષ્ટ પાર્ટી તરીકે છે. એબીપી ન્યુઝ સર્વે મુજબ ૩૮ ટકા વોટની સાથે કોંગ્રેસને ૯૨થી ૧૦૨ સીટો મળી શકે છે. ભાજપને ૩૩ ટકા વોટ સાથે ૮૦-૮૯ સીટો મળી શકે છે. સર્વે મુજબ જેડીએસની ભૂમિકા આ વખતે કિંગમેકર તરીકેની રહેશે. તેને ૩૨-૪૨ સીટો મળી શકે છે. આ મત હિસ્સેદારીમાં પણ કોંગ્રેસ હજુ ભાજપ કરતા આગળ છે. કર્ણાટકમાં વિધાનસભાની ૨૨૪ સીટો છે. કોઇપણ પાર્ટીને સરકાર બનાવવા માટે ૧૧૩ સીટોની જરૂર પડે છે. જો ભાજપની ૮૪ અને જેડીએસની ૩૭ સીટોને ગણવામાં આવે તો ભાજપની રાજ્યમાં સરકાર બની શકે છે. આવી જ રીતે કોંગ્રેસની ૯૭ સીટોમાં જેડીએસની ૩૭ સીટોને જોડવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી સત્તામાં વાપસી કરી શકે છે. સર્વેમાં મોટાભાગના લોકોનું કહેવું છે કે, વડાપ્રધાન મોદીનું કામ ખુબ સારુ રહ્યું છે. ૬૮ ટકા લોકો મોદીના કામથી સંતુષ્ટ છે. ૭૨ ટકા લોકોએ સિદ્ધરમૈયાના કામની પ્રશંસા કરી છે.
આગળની પોસ્ટ