ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મ જ્યંતિ નિમિત્તે અમદાવાદ શહેરનાં પૂર્વ વિસ્તારમાં ભીમ રથયાત્રા નીકળવાની છે. આ યાત્રા સંપૂર્ણ બિનરાજકીય રહેશે. યાત્રાનો સમય સવારે ૮ વાગ્યાનો છે અને સુકન્યા દ્વારા રથ ખેંચીને યાત્રાને પ્રસ્થાન કરાવાશે. યાત્રાનો રૂટ ૧૨ કિલોમીટર સુધીનો છે.
શહેરનાં અમરાઈવાડી વિસ્તારમાંથી શરૂ થનારી આ યાત્રા પૂર્વ વિસ્તારનાં પાંચ સ્થળોએ નાનકડા રોકાણ બાદ સીધી સારંગપુર વિસ્તારમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ૪ વાગ્યે પહોંચશે અને ત્યાં યાત્રાનું સમાપન થશે. ડૉ. બાબાસાહેબ આંબેડકર માત્ર દલિત સમાજ પૂરતા જ સિમિત ના હોવાથી દરેક સમાજનાં વર્ગ વચ્ચેની ખાઈ (અંતર) દૂર કરવાનાં હેતુસર આ યાત્રા નીકાળવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું અમદાવાદ ભીમ રથયાત્રા સમિતિનાં પ્રવક્તા વિજય ઝાલાએ જણાવ્યું છે. યાત્રા દરમિયાન ટ્રાફિકને અડચણરૂપ ના થાય તે હેતુથી યાત્રા માત્ર પાંચ સ્થળોએ રોકાણ કરશે અને ૨૫થી વધુ સ્થળોએ ડૉ. બાબાસાહેબનું સન્માન કરવામાં આવશે.
રથને ૨૦૦થી વધુ સ્વયંસેવકો દ્વારા દોરડાથી ખેંચવામાં આવશે. રથની અંદર ડૉ. બાબાસાહેબનાં ફોટો સિવાય કોઈ વસ્તુ રહેશે નહીં અને યાત્રા દરમિયાન કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેવા હેતુથી સ્વંયસેવક મારફતે જ ડૉ. બાબાસાહેબને ફૂલહાર પહેરાવી શકશે. યાત્રામાં પહેલેથી છેલ્લી સુધી જોડાવાની દરેકને છૂટ છે.ખાસ એવી પણ જાહેરાત કરાઈ છે કે, એક વિસ્તારનાં લોકો બીજા વિસ્તાર સુધી જોડાયેલા રહે. બાદમાં તેઓ દર્શન કરીને જઈ શકશે, ત્યાંથી બીજા વિસ્તારનાં લોકો યાત્રા સુધી જોડાઈ શકશે.યાત્રામાં પહેલેથી છેલ્લે સુધી એક હજાર લોકો રહેશે. એક અંદાજા પ્રમાણે દરેક વિસ્તારમાં પાંચ હજાર લોકો જોડાય તેવી સંભાવના છે. આ યાત્રામાં પહેલેથી છેલ્લે સુધી જોડાનારા લોકોની સંખ્યા ૩૦ હજારથી વધે તેવી શક્યતા છે.
યાત્રાનો રૂટ
યાત્રા સવારે ૮ વાગ્યેથી પ્રસ્થાન કરીને ૧૦ વાગ્યે રામીની ચાલી ચાર રસ્તા પહોંચશે, ૧૨ વાગ્યે અનિલ સ્ટાર્ચ, ૧ વાગ્યે રામેશ્વરમંદિર (મેઘાણીનગર) બપોરે ૧.૩૦ વાગ્યે રોહિદાસ સોસાયટી (કલાપીનગર), ૨.૩૦ વાગ્યે બળિયાલીંબડી (ગિરધરનગર), ૪ વાગ્યે સારંગપુર વિસ્તારમાં યાત્રાનું સમાપન થશે.
યાત્રાનું આકર્ષણ
યાત્રામાં ગુજરાતી ગાયક કલાકાર રાજલ બારોટ, જ્યંતિ વાઘ, ક્રાંતિકારી ભીમ ગાયક ચંદ્રભાઈ બારોટ, ૧૦૦ બુલેટ બાઈક, એક રથ, ત્રણ હાથી, પાંચ ઉંટલારી (ભજન મંડળી માટે), ૧૦ ટ્રક, એક ડીજે, ૨૫૦૦ ભીમ સૈનિકો, નાસિક બેન્ડ
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ