શહેરના સેટેલાઇટ વિસ્તારમાં વિક્રમનગર કોલોની ખાતે એક બ્લોકમાંથી ૧૮ વર્ષીય એક વિદ્યાર્થીનીએ રહસ્યમય સંજોગોમાં છઠ્ઠા માળેથી પડતું મૂકી આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બીજીબાજુ, સેટેલાઇટ પોલીસે પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીની બીઇ એન્જિનીયરીંગમાં અભ્યાસ કરતી હતી અને હાલ તેની પરીક્ષાઓ ચાલી રહી હતી, તેથી માનસિક તાણના કારણે તેણીએ આત્મહત્યાનું પગલુ ભર્યું હોઇ શકે તેવું પોલીસ અનુમાન સેવી રહી છે, તેણીના પિતા ઇસરોમાં ફરજ બજાવી રહ્યા છે. જો કે, સમગ્ર મામલામાં વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું સાચુ કારણ શું તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના સેટેલાઇટ વિસ્તારમાં ઇસરો રોડ પાસે વિક્રમનગર કોલોની ખાતે આજે બપોરે ૧૮ વર્ષીય એક વિદ્યાર્થીનીએ અચાનક અગમ્ય કારણોસર ઇ-બ્લોકના છઠ્ઠા માળેથી નીચે પડતું મૂકી ઝંપલાવ્યું હતું. આટલે ઉંચેથી પટકાતાની સાથે જ યુવતી લોહીના ખાબોચિયામાં ફસડાઇ પડી હતી અને ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ તેના પ્રાણપંખેરૂ ઉડી ગયા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના રહીશો અને સ્થાનિક લોકો ત્યાં ટોળેટોળા વળ્યા હતા. યુવતીની આત્મહત્યાના સમાચાર જાણી સૌકોઇમાં ભારે અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં સેટેલાઇટ પોલીસ પણ સ્ટાફના કાફલા સાથે ત્યાં પહોંચી ગઇ હતી અને સઘન તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી સમગ્ર ઘટના અંગે સ્થાનિકો અને યુવતીના પરિવારજનોની પૂછપરછ અને નિવેદનો લઇ તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, વિદ્યાર્થીનીના પિતા ઇસરોમાં ફરજ બજાવે છે. જેથી પોલીસે વિદ્યાર્થીનીએ કયા કારણોસર અને કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભર્યુ તેનું સાચુ કારણ જાણવાની દિશામાં તપાસનો દોર આગળ ધપાવ્યો છે.