ભગવાને લોકોને જીવાડવા સારુ વરસાદ ર્ક્યો છે, નહીંતર વરસાદ ક્યાં છે? એટલે પાણી એ તો જીવ પ્રાણી માત્રનું જીવન છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ દુનિયાનો મોટો ભાગ પાણીથી છવાયેલો છે જેનો વિશાળ ભાગ દરિયાનું ખારું પાણી છે જે પીવાના કે ખેતીના કામમાં આવતું નથી. નદીનાં જળ પણ સૂકાઈ રહ્યાં છે. આટલા મોટા પાણીના જથ્થામાંથી પણ 3% જેટલું જ પાણી પીવા યોગ્ય (Potable) છે. પાણીની ઉપલબ્ધિના આવા કટોકટી ભર્યા સમયમાં આપણે પાણીને વેડફીએ અને તેની યોગ્ય જાળવણી ન કરીએ એ તો પોતાના પગ ઉપર કુહાડો માર્યા બરોબર છે. પાણીની જેમ વીજળી પણ મનુષ્યના દૈનિક જીવનનું એક અવિભાજ્ય અંગ છે. વીજળીના બિનજરૂરી ઉપયોગથી આજે વિજળી ખૂબ મોંઘી બની છે. તેનો યોગ્ય અને સમયોચિત ઉપયોગ આપણા વ્યવહારમાં રાહત આપી શકે છે. વીજળી અને પાણી જેમ જીવના જીવન સમાન છે તેમ જ યોગ્ય સલામતીના અભાવે તે મારણ પણ બને છે. આવી જીવન જરૂરિયાતની બહુ મોટી સમસ્યા ‘વીજળી અને પાણી : બચત, જાળવણી અને સલામતી’ વિષય પર આર્ષ અક્ષરધામ ગાંધીનગર દ્વારા આર્ષ પ્રવચનમાળા અંતર્ગત BAPS ઈજનેર અનુભવી સંતોમાંથી પૂ. શ્વેતપ્રકાશદાસ સ્વામી (સારંગપુર) તથા પૂ. નિર્મલમુનિદાસ સ્વામી (અમદાવાદ) માહિતીસભર મનનીય પ્રવચન તા.24/03/2018ના શનિવારે સાંજે 04:30થી 07:00 કલાક દરમિયાન અક્ષધામ હરિમંદિર ખાતે આપશે.