ટીડીપીએ એનડીએ સરકાર સાથે છેડો ફાડી લીધા બાદ ભાજપે આની ગંભીર નોંધ લીધી છે અને હવે આંધ્રપ્રદેશમાં પણ ચંદ્રાબાબુ નાયડુને મોટો પડકાર ફેંકવા ભાજપના વરિષ્ઠ નેતાઓએ તૈયારી કરી લીધી છે. આંધ્રપ્રદેશમાં ભાજપની સ્થિતિને જાણવા માટે ભાજપ પ્રમુખ અમિત શાહે ભાજપના નેતાઓ સાથે વિસ્તારપૂર્વક બેઠક યોજી છે. ચંદ્રાબાબુ નાયડુને આંધ્રપ્રદેશમાં જ મુશ્કેલીમાં મુકવા માટે રણનીતિ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આંધ્રપ્રદેશમાંથી પાર્ટીના નેતાઓ સાથે અમિત શાહે સતત બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. અમિત શાહે આંધ્રપ્રદેશમાં પાર્ટીના નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ એક ટીવી કાર્યક્રમમાં બોલતા અમિત શાહે કહ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં અમારા ૪૮૦૦૦થી વધારે બૂથ લેવલના વર્કરો છે. નાયડુએ આંધ્રપ્રદેશમાં ભાજપને મજબૂત થવા અને પોતાના નેટવર્કને ફેલાવવા માટે તક આપી દીધી છે અને અમે આ તકને ઝડપી રહ્યા છીએ. અમિત શાહે કહ્યું હતું કે, પાર્ટી પોતાની તાકાત ઉપર ચૂંટણી લડવા માટે તૈયાર છે. કારણ કે, ભાજપ ગઠબંધનની રાજનીતિમાં મજબૂતપણે વિશ્વાસ રાખે છે પરંતુ જ્યાં એકલા હાથે લડવાની જરૂર છે ત્યાં એકલા હાથે ચૂંટણી લડવામાં આવશે. ઉત્તરપ્રદેશ, ત્રિપુરા અને જુદા જુદા રાજ્યોમાં શાનદાર દેખાવ કરી રહ્યા છીએ. આ બેઠકમાં હાજરી આપનાર ભાજપના જનરલ સેક્રેટરી રામ માધવે કહ્યું છે કે, કેન્દ્ર સરકારે રાજ્ય માટે ઘણુ બધુ કામ કર્યું છે. ભવિષ્યમાં વધુ કામ કરવામાં આવશે. ભાજપ આંધ્રપ્રદેશના લોકો સમક્ષ વાસ્તવિક સ્થિતિ સ્પષ્ટ કરીશું. ઉપરાંત આંધ્રપ્રદેશના ભાજપ વડા કે હરિબાબુએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી. ભાજપ આંધ્રપ્રદેશમાં જોરદાર લડત આપવા માટે તૈયાર છે. આંધ્રમાં પહેલાથી જ ટીડીપી અને વાયએસઆર કોંગ્રેસ મજબૂત પાર્ટી છે પરંતુ આંધ્રપ્રદેશના ખાસ રાજ્યના દરજ્જાના મુદ્દે બિનજરૂરી હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. લોકસભામાં આ બંને પાર્ટીઓ દ્વારા મોદી સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે. રાજ્યમાંથી લોકસભામાં ૨૫ સાંસદો છે. આંધ્રપ્રદેશમાં આગામી વર્ષે સંસદીય ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં આંધ્રપ્રદેશ ઉપર ભાજપ સંપૂર્ણ ધ્યાન કેન્દ્ર કરે તેવી શક્યતા છે. નાયડૂએ આગામી બે દિવસ સુધી સાવચેતી રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
આગળની પોસ્ટ