આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યના દરજ્જાની માગણી સાથે એનડીએ સામે ટીડીપી અને વાઈએસઆર કોંગ્રેસે મોરચો ખોલ્યો છે. તેવામાં બિહારમાં નીતિશ કુમારની જેડીયુ તરફથી પણ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણીનો પુનરોચ્ચાર કરાયો છે. જેડીયુના મહાસચિવ અને રાષ્ટ્રીય પ્રવક્તા કે. સી. ત્યાગીએ મોદી સરકારને યાદ અપાવ્યું છે કે નીતિશ કુમાર બિહાર માટે પહેલા પણ વિશેષ રાજ્યના દરજ્જાની માગણી કરી રહ્યા છે અને આગળ પણ આમ કરતા રહેશે.જો કે કે. સી. ત્યાગીએ દિલ્હીમાં મીડિયા સાથેની વાતચીતમાં ટીડીપીના એનડીએથી અલગ થવાની બાબતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. ત્યાગીએ ક્હ્યુ છે કે એક મોટા ગઠબંધનમાં મતભેદ હોય જ છે. જો કે આનાથી એનડીએની સરકારને તો કોઈ ખતરો નથી. મહત્વપૂર્ણ છેકે બિહારમાં હાલ જેડીયુ અને ભાજપની ગઠબંધન સરકાર છે.ગત વર્ષ નીતિશ કુમાર લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડીથી અલગ થઈને પોતાના જૂના સાથીપક્ષ ભાજપની સાથે જોડાણ સરકાર બનાવી હતી. જો કે તાજેતરમાં બિહારની પેટાચૂંટણીમાં જેડીયુ-ભાજપના ગઠબંધનનો દેખાવ રાજ્યમાં નવા રાજકીય સમીકરણો તરફ ઈશારો કરે છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો અપાવવાના મામલે આરજેડી દ્વારા નીતિશ કુમાર પર સતત રાજકીય હુમલા થઈ રહ્યા છે.
આગળની પોસ્ટ