Aapnu Gujarat
ગુજરાત

બાર કાઉન્સીલની ચૂંટણીમાં મતદાન વેળા વીડિયો રેકોર્ડિંગ, બુથ પર સીસીટીવી માટે માંગ

વકીલોની માતૃસંસ્થા એવી ગુજરાત બાર કાઉન્સીલની ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી એવી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાવાની છે ત્યારે આ ચૂંટણી જંગમાં ઝંપલાવનાર ઉમેદવારોને મતદાન દરમ્યાન ગંભીર ગેરરીતિ અને બોગસ વોટીંગને દહેશતને લઇ ચિંતા સતાવી રહી છે. ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણીને લઇ સમગ્ર રાજયના વકીલઆલમમાં ચૂંટણીનો માહોલ છવાયો છે ત્યારે આ ચૂંટણીમાં કોઇ ગંભીર ગેરરીતિ ના થાય કે નિષ્પક્ષ અને તટસ્થ રીતે ચૂંટણી યોજાય તે માટે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના કેટલાક ઉમેદવારોએ સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકોર્ડિંગ કરાવવા અને પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવાની વ્યવસ્થા કરવા ચૂંટણી રિટર્નીંગ ઓફિસર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત બાર કાઉન્સીલના ૨૫ સભ્યોની પ્રતિષ્ઠાભરી ચૂંટણી તા.૨૮મી માર્ચે યોજાનાર છે, તેને લઇને રાજયભરના વકીલઆલમમાં ભારે ઉત્સાહ અને ઉત્તેજનાનો માહોલ જોવા મળી રહ્યો છે. દર પાંચ વર્ષે યોજાતી આ ચૂંટણી વકીલઆલમ માટે ખૂબ જ મહત્વની અને અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી હોય છે. આ ચૂંટણીમાં વેરીફિકેશન ફોર્મ ભર્યા હોય તેવા અને ૨૦૧૦ પછીની બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની ઓલ ઇન્ડિયા લેવલની પરીક્ષા પાસ કરી હોય તેવા આશરે ૫૦ હજાર જેટલા વકીલ મતદારો મતદાન કરી શકશે. ગુજરાત બાર કાઉન્સીલના આ ૨૫ સભ્યોની ચૂંટણીની બીજી એક નોંધનીય વિશેષતા એ છે કે, તેમાં પ્રેફરેન્શીયલ પધ્ધતિથી મતદાન કરવાનું હોય છે. એટલે કે, વકીલ મતદારો તેમની પસંદગીના ક્રમ પ્રમાણે એકથી લઇ ૨૫ સુધીના મતો આપી શકે છે અને પ્રેફરેન્શીયલ મતદાન હોઇ તેની મતગણતરી પણ ઘણી અટપટી અને લાંબી હોય છે તેથી જ બાર કાઉન્સીલની આ ચૂંટણીનું પરિણામ આવતા લગભગ પાંચથી છ દિવસનો સમય લાગી જતો હોય છે. તા.૨૮મી માર્ચે યોજાનારી બાર કાઉન્સીલની આ ચૂંટણીની મતગણતરી તા.૩૦મી માર્ચથી શરૂ થઇ જશે. પ્રેફરેન્શીયલ વોટીંગનું કાઉન્ટીંગ બહુ મહત્વનું હોઇ મતગણતરીની જવાબદારી પણ ગુજરાત યુનિવર્સિટીના સ્ટેસ્ટેટીક્સ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવી છે કે જેથી તટસ્થ અને નિષ્પક્ષ મતગણતરી હાથ ધરી શકાય. ગુજરાત બાર કાઉન્સીલની આ વખતની ચૂંટણીમાં અત્યારસુધીમાં વકીલો માટે હંમેશા કલ્યાણકારી કાર્યો કરનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિત ચાર પૂર્વ ચેરમેનોએ આ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે, તો આ સાથે બીજા દિગ્ગજો પણ મેદાનમાં છે ત્યારે વકીલ ઉમેદવારોમાં હવે મતદાન દરમ્યાન ગંભીર ગેરરીતિ કે બોગસ વોટીંગની દહેશતને લઇ ચિંતા વ્યાપી છે. બાર કાઉન્સીલ દ્વારા રાજયના ૧૩૮ પોલીંગ સ્ટેશનો પર વકીલ મતદારો મતદાન કરી શકે તેવું આયોજન કરાયું છે. જેમાં ૩૫ જેટલા મતદાન મથકો સંવેદનશીલ છે. તેથી ગુજરાત બાર કાઉન્સીલની આ અત્યંત મહત્વની ચૂંટણીમાં મતદાન દરમ્યાન કોઇ ગેરરીતિ ના થાય કે, અનિચ્છનીય બનાવ ના બને અને નિષ્પક્ષ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે હેતુથી સમગ્ર ચૂંટણીનું વીડિયો રેકોર્ડીંગ કરાવવા અને તમામ પોલીંગ સ્ટેશનો પર સીસીટીવી કેમેરા લગાવવા પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા સહિતના ઉમેદવારોએ રિટર્નીંગ ઓફિસર સમક્ષ ઉગ્ર માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, બાર કાઉન્સીલની ગત ચૂંટણીમાં ગાંધીનગર અને અંકલેશ્વરમાં ખોટા મતદાન અને પહેલેથી જ વોટ નંખાઇ ગયા હોવાની લેખિત ફરિયાદો મળી હતી, જેથી આ વખતે આવી કોઇ ઘટના કે ગેરરીતિ ના સર્જાય અને જેન્યુઇન ઉમેદવારોને ચૂંટણીમાં અન્યાય ના થાય તે માટે બાર કાઉન્સીલની ચૂંટણીમાં મતદાન દરમ્યાન વીડિયો રેકોર્ડિંગ કરાવવા અને પોલીંગ બુથ પર સીસીટીવી કેમેરા મૂકવા માંગણી કરાઇ છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

શિક્ષકોની હડતાળ પાડવા રાજય સરકારને ચિમકી અપાઈ

aapnugujarat

આઝાદીના ૭૫ વર્ષે ભાજપનો બોરસદ બેઠક ઉપર વિજય

aapnugujarat

દિયોદરના વખા ગામમાં ‘બેટી પઢાઓ બેટી બચાવો’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1