રાજ્ય વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમ્યાન કૃષિ રાજ્ય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે, અત્યાધુનિક ખેત પદ્ધતિ દ્વારા ગુજરાતના ખેડુતોએ શ્રેષ્ઠ આર્થિક પદ્ધતિ સાધી છે. તેમણે જણાવ્યું હતું કે, ખાસ કરીને ગ્રીન હાઉસ પદ્ધતિ દ્વારા વધુ સારો અને તંદુરસ્ત પાક મેળવી શકાય છે. વિધાનસભા ગૃહમાં રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ગ્રીન હાઉસ માટે મળેલી અરજીઓ સંદર્ભના પ્રશ્નો જવાબ આપતા મંત્રીએ વધુ વિગતો આપી હતી કે, રાજકોટ જિલ્લામાં વર્ષ-૨૦૧૬માં ચાર અરજીઓ અને વર્ષ-૨૦૧૭માં બે અરજીઓ મળી હતી. છેલ્લા બે વર્ષમાં સાત અરજીઓ મળી હતી તેમજ પોરબંદર જિલ્લામાં વર્ષ-૨૦૧૭માં બે અરજીઓ મળી હતી. જે તમામને સહાય ચૂકવવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લામાં વર્ષ-૨૦૧૬ની ચાર અરજીની ૬૫.૭૪ લાખ સહાય ચૂકવાઈ છે. જ્યારે વર્ષ ૨૦૧૭માં મળેલી ત્રણ અરજીની સહાય ચૂકવવાની કામગીરી પ્રગતિમાં છે.