બિહારમાં પટણાના મસૌઢી નજીક ગઈકાલે મોડી સાંજે જાનૈયા ભરેલી એક બસ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકતાં બસમાં બેઠેલા પૈકી આઠ જાનૈયાનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય ૩૬ લોકોને ઈજા થઈ હતી. ઘવાયેલા તમામને નાલંદા મેડિકલ કોલેજમાં દાખલ કરાવવામાં આવ્યા છે. બસમાં લગભગ ૫૦ લોકો બેઠા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા ૧૨ લોકોને પટણા પીએમસીએચ ખસેડવામાં આવ્યા છે. બસનો ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાનું બહાર આવ્યુ છે. આ ઘટનામાં મૃત્યુ પામનારા આઠ લોકોના વારસદારોને ચાર ચાર લાખની સહાય આપવામાં આવશે. તેમજ ઘવાયેલાની મફત સારવાર કરવામાં આવશે. તેવી સરકારે જાહેરાત કરવામા આવી હતી.આ દુર્ઘટના પટણાથી લગભગ ૩૨ કિમી દૂર કંડાપ ગામ પાસે સર્જાઈ હતી. બસ ખાડામાં ખાબકતાં જાનૈયાઓની ચીસોથી આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને બસમાં ફસાયેલા લોકોને કાચ તોડી બહાર કાઢયા હતા. બાદમાં રોષે ભરાયેલા લોકોએ બસને આગ લગાવી દીધી હતી. બનાવથી જાણ થતા પોલીસ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ગોપાલપુર થાન વિસ્તારમાં રહેતા કેવટનાં લગ્ન હતાં અને તમામ જાનૈયા સાંજે છ વાગે બસમાં નીકળ્યા હતા. બસ કંડાપ ગામ નજીક પહોંચતાં જ ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતા બસ ૨૦ ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી.જેના કારણે બસની છત પર બેઠા હતા તે જાનૈયા દૂર પડી ગયા હતા. જ્યારે બસની અંદર બેઠેલા લોકો એકબીજા સાથે દબાઈ જતાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાથી લગ્નનો આનંદ માતમમાં ફેરવાઈ ગયો હતો. લોકોની બૂમાબમથી માહોલ બદલાઈ ગયો હતો.દરમિયાન વરરાજા જય કેવટના ભાઈ ધીરજે જણાવ્યું કે કેવટ પણ આ બસમાં જ આવવાનો હતો પરંતુ છેલ્લી ઘડીએ તેણે નિર્ણય બદલી અન્ય કેટલાક લોકો સાથે કારમાં ગયો હતો. તેથી નસીબથી તેનો આબાદ બચાવ થયો હતો. તેણે વધુમાં જણાવ્યું હતું કે જાનૈયા ભરેલી બસ જ્યારે ઉપડી હતી ત્યારે બસમાં મોટા અવાજથી ગીત વાગતું હતું અને તમામ જાનૈયા ખુશ હતા. જોકે બસ ચાલકે પૂરપાટ ઝડપે બસ ચલાવતા રોડ ખરાબ હોવાના કારણે બસનું ટાયર ખાડામાં પડતાં બસ પલટી ખાઈ ગઈ હતી. જોકે આ દરમિયાન બસનો ચાલક નશામાં હોવાનો પણ આક્ષેપ થયો હતો. જે અંગે તપાસ ચાલી રહી છે.
આગળની પોસ્ટ