નાણાંમંત્રીએ મહિલા વિકાસ અને બાળ કલ્યાણ માટે રૂ.૩૦૭૦ કરોડની જોગવાઇ કરી હોવાની જાહેરાત કરી હતી જેમાં સૌથી મહત્વની જાહેરાત એ હતી કે, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ માતાઓને રૂ.પાંચ હજારની સહાય આપવામાં આવશે. તો બીજીબાજુ, આંગણવાડી કેન્દ્રોમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓના પોષણક્ષમ આહાર માટે રૂ.૯૯૭ કરોડની ફાળવણી કરાઇ છે. રાજય સરકાર દ્વારા મહિલા વિકાસ અને બાળ કલ્યાણ માટે જે અન્ય કાર્યો અને ભંડોળની જોગવાઇ કરી છે, તેમાં આંગણવાડીના બાળકોને બે જોડી ગણવેશ આપવા માટે રૂ.૩૫ કરોડની ફાળવણી કરાઇ છે. રાજયમાં આંગણવાડીના મકાનો તથા અન્ય સંકુલોના નિર્માણ માટે રૂ.૮૪ કરોડની જોગવાઇ કરાઇ છે. પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માતાઓને રૂ.પાંચ હજારની સહાય આપવા માટે રૂ.૨૨૦ કરોડની જોગવાઇ આ વખતના બજેટમાં કરાઇ છે. જયારે સબળા અને કિશોરી શકિત યોજના માટે અલગથી રૂ.૩૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજયના તમામ આંગણવાડી કેન્દ્રોમાં બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓને પોષણક્ષણ આહાર મળી રહે તેવું આયોજન કરાયું છે.