અંતે રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પુરુષોતમ સોલંકીએ ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા છે. તેમણે વિધાનસભાના પ્રોટેમ સ્પીકરની ઓફિસમાં જઈ શપથ ગ્રહણ કર્યા.
કેબીનેટ કક્ષાનું પ્રધાનપદ અથવા તો સારા ખાતાની માગણી સાથે નારાજગી દેખાડવા માટે સોલંકીએ હજુ સુધી ધારાસભ્ય તરીકેના શપથ લીધા નહોતા.જોકે શપથ લીધા બાદ પરષોત્તમ સોલકીએ કહ્યું છે કે તેઓ નારાજ નથી. મુખ્યપ્રધાને તેમને બાંહેધરી આપી છે કે મહત્વનું ખાતુ ફળવામાં આવશે. જેથી તેઓ કે તેમનો સમાજ નારાજ નથી. સોલંકીએ દાવો કર્યો કે તેઓ બહારગામ હોવાથી કેબિનેટમાં હાજર રહી શક્યા નથી.ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દાયકાથી વધુ સમયમાં ભાજપની પ્રથમ વખત જ ખૂબ ખરાબ અને ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ છે. પહેલા ટિકિટના મુદ્દે, બાદમાં મંત્રીપદ તેમજ ખાતાની ફાળવણીના માંગણી લઈને કેટલાક સિનિયર નેતાઓ-ધારાસભ્યોએ જાહેરમાં પોતાનો રોષ ભાજપના મોવડી-મંડળ પર ઠાલવ્યો હતો.
દિલ્હીની સૂચનાને પગલે ‘ડેમેજ કંટ્રોલ’ કરાયું હતું. આમ છતાં હજુ કેટલાક નેતાઓ અને ધારાસભ્યોમાં આક્રોશ અને અસંતોષ યથાવત રહ્યો છે. જેમાંનાં એક પુરુષોતમ સોલંકી છે.