યુદ્ધનો સામનો કરી રહેલા દુનિયાના કેટલાક દેશોમાં ભૂખનું ભીષણ સંકટ વિશાળ થતું જાય છે. ખાણી-પીણીની ચીજ વસ્તુઓનાં અભાવે લોકોને ફરજિયાત પણે ભૂખ્યા રહેવું પડે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ વર્ગો આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે. આવા લોકોની સંખ્યા ઘટવાના બદલે વધી રહી છે. ખાસ કરીને યમન, દક્ષિણ સુદાન અને સીરિયામાં સ્થિતિ વિકટ છે. આ રાષ્ટ્રમાં રહેનારા લોકો તેમના દેશમાં થઈ રહેલા યુદ્ધના પરિણામની કિંમત ચૂકવી રહ્યાં છે. યુદ્ધનો સામનો કરી રહેલા આઠ દેશમાં ખૂબ ઝડપથી ભૂખમરો વધી રહ્યો છે.
ખાદ્ય અસુરક્ષાનું સ્તર ઇમરજન્સી લેવલ સુધી પહોંચી ગયું છે.આ દેશમાં આશરે ૨૫ ટકા લોકો દરરોજ પેટ ભરવા માટે ભટકી રહ્યાં છે. તાજેતરમાં ખાદ્ય એજન્સીએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદને આ વિસ્તારમાં ભૂખમરા અંગે વિકટ પરિસ્થિતિ અહેવાલ આપ્યો હતો.વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ, વિશ્વ ખાદ્ય અને કૃષિ સંગઠન અનુસાર વધતી જતી ખાદ્ય અસુરક્ષાથી વિષમ સ્થિતિ સર્જાઈ છે. યમન અને દક્ષિણ સુદાનમાં ભૂખમરાથી સૌથી ખરાબ સ્થિતિ છે.
યમનમાં ૧.૭ કરોડ લોકો એટલે કે દેશના ૬૦ ટકા લોકો ભૂખ્યા સૂવે છે. જ્યારે દક્ષિણ સુદાનમાં ૪૫ ટકા વસતી એટલે કે ૪૮ લાખ લોકો ખાવા માટે ટળવળી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ સીરિયા, લેબેનન, મધ્ય આફ્રિકા, યૂક્રેઇન, અફઘાનિસ્તાન અને સોમાલિયાની છે. કોંગોમાં પણ ભૂખના કારણે ટળવળતાં લોકોની સંખ્યામાં વધારો થતો જાય છે. કોંગોમાં ૭૭ લાખ લોકો ભૂખના સંકટનો સામનો કરી રહ્યા છે.અફઘાનિસ્તાનમાં છ મહિના દરમિયાન ભૂખમરાનો સામનો કરી રહેલા લોકોની સંખ્યા બમણી થઈ ગઈ હતી. છ મહિના પહેલાં જે સંખ્યા ૩૩ લાખ હતી જે હવે વધીને ૭૬ લાખ થઇ ચૂકી છે. સુદાનમાં ૩૮ લાખ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. છ મહિના પહેલાં આ સંખ્યા ૩૫ લાખ નોંધવામાં આવી હતી. આ દેશનાં જૂથમાંથી સોમાલિયા એકમાત્ર એવો દેશ છે જ્યાં ખાદ્ય અસુરક્ષાના સ્તરમાં સુધારો થતો જોવા મળ્યો હતો.વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ યુનોની એક સંસ્થા છે જે યુદ્ધગ્રસ્ત અને અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને ખાદ્ય સામગ્રી પૂરી પાડે છે. સંસ્થાનો ૮૦ ટકા ખર્ચ માત્ર અસરગ્રસ્ત વિસ્તારમાં અટવાયેલા લોકોને ભોજન કરાવવામાં ખર્ચાય છે. સંસ્થાનું માનવું છે કે, વિષમ સ્થિતિનો અંત લાવવા યુદ્ધને તાત્કાલિક અટકાવવું જોઈએ.વર્ષ ૨૦૧૬માં ભૂખ્યા લોકોની સંખ્યા ૮૧.૫ કરોડ હતી જેમાં ૪૯ કરોડ લોકો અસરગ્રસ્ત વિસ્તારના નિવાસી હતી. યુદ્ધની સ્થિતિ માણસ માટે બંને તરફથી મુશ્કેલીઓ ઊભી કરે છે. દ.સુદાનમાં ગત વર્ષે ફેબ્રુઆરી ૨૦૧૭માં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો.જ્યારે દક્ષિણ સુદાનને વર્ષ ૨૦૧૭માં દુષ્કાળગ્રસ્ત જાહેરમાં આવ્યો હતો. સોમાલિયા, યમન અને નાઇજીરિયા જેવા કેટલાક રાષ્ટ્રમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું ગતું. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી હતી કે, ખાવાનું સંકટ તણાવ અને લડાઇનું એક કારણ બની શકે છે. યુદ્ધના કારણે ફૂડ સ્ટેબિલિટી, ખાદ્ય સામગ્રીની પ્રાપ્યતા તથા તેના ઉપયોગની માઠી અસર થાય છે.
આગળની પોસ્ટ