કેન્દ્ર સરકારે નવા મુખ્ય કમિશનરના નામની જાહેરાત કરી છે. આજે-રવિવારે સરકારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન ચૂંટણી કમિશનર ઓમપ્રકાશ રાવત નવા આગામી મુખ્ય ચૂંટણી કમિશનર હશે. તેઓ અચલકુમાર જોતિના અનુગામી બનશે. જોતિ ૨૩ જાન્યુઆરીએ નિવૃત થનાર છે. નસીમ ઝૈદી ગયા વર્ષે જુલાઈમાં નિવૃત થતાં જોતિએ મુખ્ય ચૂંટણી કમિશનરનો હોદ્દો ધારણ કર્યો હતો.ચૂંટણી પંચના નિયમ પ્રમાણે ચૂંટણી પંચમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર હોય છે. રાષ્ટ્રપતિ બે પૈકી વરિષ્ઠ ચૂંટણી કમિશનરની જ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે વરણી કરે છે તેવી પરંપરા છે.રાવત મુખ્ય ચૂંટણી કમિશનર બનતા અશોક લવાસાની તેમના સ્થાને ચૂંટણી કમિશનર તરીકે વરણી કરાઈ છે. અગાઉ લવાસા મુખ્ય આર્થિક સચિવપદે હતાં. તેઓ પણ ૨૩ જાન્યુઆરીથી જ આ હોદ્દો ધારણ કરનાર છે.