સુપ્રીમ કોર્ટના ચાર જજ તરફથી પત્રકાર પરિષદ યોજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પર ગંભીરપ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા બાદ આને લઇને ભારે હોબાળો થઇ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પણ હચમચી ઉઠી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના આ પગલા બાદ વડાપ્રધાન મોદીએ તરત જ કાયદામંત્રી રવિશંકર પ્રસાદ સાથે ફોન પર વાત કરી હતી. આ મામલામાં સરકારને પણ હવે ઘણા સ્પષ્ટીકરણ કરવાની જરૂર પડશે. સનસનાટીપૂર્ણ આક્ષેપ કરવામાં આવ્યા બાદ ન્યાયપાલિકાથી લઇને સરકાર પણ હચમચી ઉઠી છે. જજના આરોપ અને પત્ર બાદ મોદીએ રવિશંકર પ્રસાદ સાથે વાતચીત કરી છે. અલબત્ત આને લઇને કોઇ સત્તાવાર નિવેદન જારી કરાયું નથી. મિડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર માને છે કે, આ કોઇ સરકારનો મામલો નથી. આમા દરમિયાનગીરી કરવાની જરૂર દેખાઈ રહી નથી. સરકાર એમ પણ માને છેકે, આ સુપ્રીમનો આંતરિક મામલો છે. સરકાર તેમાં પક્ષ નથી. સમગ્ર મામલાને લઇને ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ એટર્ની જનરલ કેકે વેણુગોપાલ સાથે વાતચીત કરીને ચર્ચા કરી છે. ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, મિડિયાની સમક્ષ આવનાર ચાર જજો જો પોતાની પીડા રજૂ કરી છે તો તેમને ચોક્કસપણે પીડા થઇ હતી. સ્વામીએ એમ પણ કહ્યું છે કે, જજોએ ચીફ જસ્ટિસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમની વચ્ચે વિવાદ છે જેથી વડાપ્રધાને આ મામલામાં દરમિયાનગીરી કરવી જોઇએ. મિડિયાની સમક્ષ વાત રજૂ કરનાર ચારેય જજ બુદ્ધિજીવી છે. તેમની વાતો પર ધ્યાન આપવાની જરૂર છે.
આગળની પોસ્ટ