તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ જિલ્લાસ્તરના પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે વાઘોડીયાની પસંદગી કરવામાં આવી છે. હવે વાઘોડીયાની ડૉ.એન.જી.હાઇસ્કુલના મેદાનમાં પ્રજાસત્તાક પર્વનુ ધ્વજ વંદન યોજાશે જેમાં રાજ્ય સરકાર ધ્વારા નિર્ધારીત કરાનારા મંત્રીશ્રી ધ્વજ વંદન કરાવશે. નિવાસી અધિક કલેકટરશ્રી એમ.આર.દવેએ વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક યોજીને, આ ઉજવણીને વિવિધતાસભર અને સંદેશાત્મક બનાવવાનુ માર્ગદર્શન આપ્યુ હતુ. સ્વચ્છતા અભિયાન સહિત રાષ્ટ્રીય અગત્યના કાર્યક્રમોના સંદેશ આપતા ટેબ્લોઝ અને ગણવેશધારી દળોની ટુકડીઓની પરેડ ધ્વારા આ કાર્યક્રમને આકર્ષક બનાવવામાં આવશે. તેની સાથે રાષ્ટ્રભક્તિની ભાવનાનુ સિંચન કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસંગને દર્શનીય બનાવશે. પ્રજાસત્તાક પર્વની જિલ્લાક્ક્ષાની ઉજવણીને અનુલક્ષીને વાઘોડીયા ગ્રામ પંચાયત ધ્વારા સઘન જાહેર સ્વચ્છતા અભિયાન તેમજ પ્રતિમા સફાઇ ઝુંબેશ તાત્કાલીક હાથ ધરવા તેમણે સૂચના આપી હતી. તમામ સરકારી કચેરીઓની સાફસફાઇ, રંગરોગાન અને રોશનીની સજાવટ કરવા સંબંધિત અધિકારીઓને જણાવાયુ હતુ. આ કાર્યક્રમમાં વિવિધ વિકાસકામોનું લોકાર્પણ સહિત ખેલ મહાકુંભના વડોદરા જિલ્લાના રાજ્ય સ્તરીય વિજેતાઓને પ્રમાણપત્ર પ્રદાન કરવા, વિશિષ્ઠ સિધ્ધિ મેળવનારાઓનુ સન્માન કરવુ ઇત્યાદિનો સમાવેશ કરવામાં આવશે. અધિક નિવાસી કલેકટરશ્રીએ પ્રજાસત્તાક પર્વ લોકોત્સવ બની રહે તે માટે વિવિધ દિવસે થીમ બેઝ કાર્યક્રમોનું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. આ બેઠકમાં સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.