મણિશંકર અય્યરના આવાસ પર પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન અને હાઇ કમીશનરની સાથે બેઠકને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આક્ષેપને કોંગ્રેસ પાર્ટીએ રદિયો આપ્યો હતો પરંતુ હવે કોંગ્રેસ પોતે જ આ વિવાદમાં ફસાઇ ગઇ છે. પૂર્વ સેના અધ્યક્ષ દીપક કપુરે પોતે આ બેઠકમાં હાજરી આપી હોવાની બાબતને સમર્થન આપ્યુ છે. એક અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યુ છે કે તેઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. જો કે આ બેઠકમાં ભારત અને પાકિસ્તાનના સંબંધ ઉપરાંત અન્ય કોઇ વિષય પર ચર્ચા થઇ ન હતી. તેમણે કહ્યુ હતુ કે ઐય્યરના આવાસ પર આ બેઠક યોજાઇ હતી. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ આવી કોઇ બેઠક થઇ હોવાનો ઇન્કાર કર્યો હતો. ૨૩મા સેના અધ્યક્ષ તરીકે નિવૃત થયેલા દીપક કપુર માર્ચ ૨૦૧૦માં પોતાના હોદ્દા પરથી નિવૃત થયા હતા. પાકિસ્તાનના પૂર્વ વિદેશ પ્રધાન ખુરશીદ મહેમુદ કસુરીના ભારત પ્રવાસ દરમિયાન અય્યરે ડિનર મિટિંગનુ આયોજન કર્યુ હતુ. કસુરી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ પર આધારિત એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પણ પહોંચ્યા હતા. આ બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પૂર્વ વિદેશ પ્રધાન નટવરસિંહ અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. પાકિસ્તાનના ટોપના લોકો ગુજરાત ચૂંટણીને લઇને કેમ રસ લઇ રહ્યા છે તેવો પ્રશ્ન મોદીએ કર્યો હતો. કોંગ્રેસના નેતાઓ પર તીવ્ર પ્રહારો કરવામાં આવ્યા હતા. મણિશંકર અય્યરના નિવાસે યોજાયેલી બેઠકમાં શુ ચર્ચા થઇ હતી તેને લઇને મોદીએ ખુલાસો કરવા માટે કોંગ્રેસને મોદીએ પડકાર ફેંક્યો હતો. મણિશંકર અય્યરના મામલે હાલમાં કોંગ્રેસ ભારે દુવિધામાં છે.
પાછલી પોસ્ટ