અફઘાનિસ્તાનમાં આઇએસના ત્રાસવાદીઓએ હવે પોતાના સંગઠનના યુવાનોનાં માથા વાઢવાની શરૂઆત કરી દીધી છે. ઈસ્લામિક સ્ટેટના ત્રાસવાદીઓએ નગરહારામાં સંગઠનના જ ૧૫ યુવાનોના મસ્તકને વાઢી નાખ્યા હતા. સુરક્ષા દળોનું માનવું છે કે અફઘાનિસ્તાનમાં ત્રાસવાદી જૂથો વચ્ચે જ સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેને પરિણામે આવી ઘટના બની છે.
નગરહારા અફઘાનિસ્તાનના પૂર્વ ક્ષેત્રમાં છે અને તેની સરહદો પાકિસ્તાનને સ્પર્ષે છે.નગરહારાને ઈસ્લામિક સ્ટેટ અને તાલિબાનોનો ગઢ માનવામાં આવે છે. યુવકોનો નરસંહાર અચિન જિલ્લાના સુર્ખ અબ બજારમાં થયો હતો. આઇએસ સંગઠન રાજકીય કેદીઓ, વિદેશીઓ અને બળવાખોરોના મસ્તક વાઢવાનો ખૂની ઇતિહાસ ધરાવે છે.વર્ષ ૨૦૧૫મા આઇએસ સંગઠન અફઘાનિસ્તાનના અંદાજે ૯ રાજ્યોમાં પગદંડો જમાવી ચૂક્યું હતું. આઇએસ આ વિસ્તારોમાં પોતાની સમાતંર સરકારો ચલાવે છે. આફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરવા આઇએસ અને તાલિબાનો અંદરોઅંદર બાખડી રહ્યા છે. બંને ત્રાસવાદી જૂથોના યુવાનો પર જાસૂસીના આક્ષેપ થતા રહે છે.ઈરાક અને સીરિયામાં પત્તુ કપાયા પછી આઇએસ અફઘાનિસ્તાનમાં પોતાના અસ્તિત્વનો અહેસાસ કરાવી રહ્યું છે. તે કારણસર જ અફઘાનિસ્તાનમાં આઇએસ આત્મઘાતી હુમલાઓને અંજામ આપી રહ્યું છે. અફઘાનિસ્તાનના નગરહારા વિસ્તારમાં જ ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં આઠ લોકો માર્યા ગયા હતા.હુમલાખોર પ્રાંતીય રાજધાની જલાલાબાદમાં રસ્તા પર ભેગા થયેલા ટોળામાં ઘૂસ્યો હતો. આ ટોળું સસ્પેન્ડ થયેલા સ્થાનિક પોલીસ કમાન્ડરના સમર્થનમાં દેખાવો કરી રહ્યું હતું.
આગળની પોસ્ટ