નાયબ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસને અને પાટીદાર સમાજને મૂર્ખ કહ્યો છે, તેના પર હાર્દિક પટેલે ટિ્વટ કર્યું છે. આ મામલે હાર્દિકે ટિ્વટ કરતાં કહ્યું છે કે, ‘ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ પાટીદાર સમાજને મૂર્ખ કહ્યો છે. ભાજપવાળા ગુજરાતની જનતાને મૂર્ખ ના સમજે. ગુજરાતની જનતા હવે તમને જનતા રાજ બતાવશે.’હાર્દિકે બીજું એક ટિ્વટ કરતાં કહ્યું હતું કે, ‘ભાજપ સરકાર ક્યારેક હાથ કાપવાનું કહે છે, તો ક્યારેક મૂર્ખ કહે છે. આ ગુજરાત માત્ર ભાજપનું નથી. ગુજરાતની જનતાને જે ઠીક લાગશે તે થશે. અમારા પર ભાજપની જોહુકમી ચાલશે નહીં.’ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અનામત અને કોંગ્રેસ મામલે હાર્દિક પર પ્રહારો કરતાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ મૂર્ખ બનીને અનામત મામલે લોકોને મૂર્ખ બનાવી રહી છે.’
જો કે હાર્દિક પટેલે કોંગ્રેસના ફોર્મ્યૂલાને સ્વીકારવાની વાત પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. જેના પરથી હાર્દિકે કોંગ્રેસને આડકતરી રીતે સમર્થન આપ્યું છે, તેવું કહી શકાય.કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે હાર્દિકના નિવેદન બાદ કહ્યું છે કે, ‘અમે જે કંઈપણ કરીશું તે બંધારણને ધ્યાનમાં રાખીને કરીશું. હાર્દિક પટેલે અનામત મુદ્દે કોંગ્રેસને સમર્થન આપ્યું છે.’ કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે પણ હાર્દિકને સમર્થન આપતી પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધાર્થ પટેલે કહ્યું છે કે, ‘કોંગ્રેસ અને હાર્દિકની વિચારધારા એકસરખી છે.’આ મામલે ખેડાના ભાજપના પ્રમુખ દેવુસિંહ ચૌહાણે પણ પ્રતિક્રિયા આપી છે. દેવુસિંહ ચૌહાણે કહ્યું છે કે, ‘હાર્દિકનું લક્ષ્ય ગુજરાતની શાંતિને ભંગ કરવાનું છે. હાર્દિક કોંગ્રેસ સાથે મળીને કામ કરે છે. હાલમાં હાર્દિક તે કરી રહ્યો છે.’