સંજય લીલા ભણશાળીની વિવાદાસ્પદ ફિલ્મ ‘પદ્માવતી’નો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આ મામલે સંસદીય કમિટીએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને ૧૫ દિવસમાં અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. જેમાં સસંદીય કમિટીના અધ્યક્ષ ભગતસિંહ કોશિયારીએ આ મુદે નોટિસ જારી કરી છે.
સંજય લીલા ભણશાળીની ફિલ્મ ‘પદ્માવતી’ સામે રાજપૂત સમાજ,નેતાઓ અને ક્ષત્રિય સંગઠનો દ્વારા થઈ રહેલા વિરોધ બાદ ફિલ્મની રિલીઝ તારીખ હાલ પૂરતી રદ કરી દેવામાં આવી છે ત્યારે બીજી તરફ સેન્સર બોર્ડના અધ્યક્ષ પ્રસૂન જોશીએ જણાવ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં આ ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં વધુ ૬૮ દિવસ લાગે તેમ છે.
આ અગાઉ યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભણશાળી સામે આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે તેમને લોકોની લાગણી સાથે ચેડાં કરવાની આદત પડી ગઈ છે.તો બીજી તરફ એસપીના નેતા આઝમ ખાને જણાવ્યું હતું કે મુગલ એ આઝમમાં અનારકલીને સલીમની મહેબૂબા દર્શાવવામાં આવી હતી. તેમ છતાં મુસ્લિમોએ તેનો વિરોધ કર્યો ન હતો. ત્યારે તેમણે પદ્માવતીનો વિરોધ કરનારાઓ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે અંગ્રેજોનાં શાસનમાં અન્યાય સહન કરનારા આજે સન્માનની વાતો કરી રહ્યા છે. તે કેટલા અંશે યોગ્ય ગણી શકાય?