યોગગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડની જેમ જ હવે આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક અને પ્રણેતા શ્રી શ્રી રવિશંકર ‘શ્રી શ્રી તત્ત્વા’ બ્રાન્ડ નામથી હવે રિટેલ બજારમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે કંપનીએ આગામી બે વર્ષમાં ૧,૦૦૦ ફ્રેન્ચાઈઝી સ્ટોર ખોલવાની યોજના તૈયાર કરી છે.
‘શ્રી શ્રી તત્ત્વા’ના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વર્ચસ્વીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પ્રોડક્ટ દેશભરમાં ફેલાયેલ ‘શ્રી શ્રી’ના સમર્થકો વચ્ચે પહેલાંથી મોજૂદ છે. આ ઉપરાંત ૩૫ દેશોમાં અમારી પ્રોડક્ટની ભારે માગ છે.નવી દિલ્હી સ્થિત પ્રગતિ મેદાનમાં ૭ અને ૮ નવેમ્બરે યોજાયેલ ફ્રેન્ચાઈઝી ઈન્ડિયા વ્યાપારમેળામાં વર્ચસ્વીએ જણાવ્યું હતું કે શ્રી શ્રીનાં ત્રણ ફોર્મેટ છે – શ્રી શ્રી તત્ત્વા માર્ટ, શ્રી શ્રી તત્ત્વા વેલનેસ પ્લેસ અને શ્રી શ્રી તત્ત્વા હોમ એન્ડ હેલ્થનો સમાવેશ થાય છે. ‘શ્રી શ્રી તત્ત્વા’એ ફ્રેન્ચાઈઝી ઈન્ડિયા સાથે આ માટે ભાગીદારી કરી છે. ‘શ્રી શ્રી તત્ત્વા’ માર્ટ હેઠળ સ્ટોર ખોલવામાં આવશે અને અમારી તમામ પ્રોડક્ટ તેમાં ઉપલબ્ધ બનશે. ‘શ્રી શ્રી તત્ત્વા’ વેલનેસ પ્લેસ અને ‘શ્રી શ્રી તત્ત્વા’ હોમ એન્ડ હેલ્થમાં આયુર્વેદિક અને એફએમસીજી પ્રોડક્ટ ઊભી કરવામાં આવશે,જેમાં આયુર્વેદિક દવાઓ, ખાદ્ય ચીજવસ્તુઓ, ઓર્ગેનિક ખાદ્યપદાર્થ, પર્સનલ કેર પ્રોડક્ટ, હોમકેર પ્રોડક્ટ અને પૂજાની સામગ્રી પણ ઉપલબ્ધ બનશે, સાથે જ કંપની ઈન હાઉસ આયુર્વેદિક વૈદ્યની સેવા પણ ઉપલબ્ધ કરશે.