ઈન્ડિગોની એક ફલાઇટમાં ઉડાન દરમિયાન એક લેપટોપમાં આગ લાગવાનો મામલો પ્રકાશમાં આવતાં પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. તિરુવનંતપુરમ્-બેંગલુરુની ફલાઇટમાં એક લેપટોપમાં આગને અગ્નિશામક યંત્રની મદદથી બુઝાવવામાં આવી હતી.ફલાઇટ નં.૬ઇ-૪૪પ (વીટી-આઇજીવી)માં સવાર પ્રવાસીઓએ ફલાઇટના ચાલક દળના સભ્યોને એવી જાણકારી આપી હતી કે એક કાળી બેગમાંથી કંઇક સળગવાની દુર્ગંધ આવી રહી છે. ત્યાર બાદ ચાલક દળના સભ્યોએ અગ્નિશામક યંત્રની મદદથી લેપટોપની આગ પર કાબૂ મેળવ્યો અને ત્યાં બેઠેલા પ્રવાસીઓને બીજી જગ્યાએ શિફટ કર્યા હતા. આ ઉપરાંત જ્યાં સુધી ફલાઇટ લેન્ડ ન થઇ ત્યાં સુધી આગ લાગેલા લેપટોપને પાણીમાં ડુબાડીને રાખવામાં આવ્યું હતું.અહેવાલો અનુસાર ઈન્ડિગોના એક પ્રવકતાને ટાંકીને જણાવાયું છે કે તિરુવનંતપુરમ્-બેંગલુરુની ફલાઇટ નં.૬ઇ-૪૪પ (વીટી-આઇજીવી)માં ક્રૂ મેમ્બર્સને જાણ થઇ હતી કે કેબિનમાંથી ધુમાડાની અને સળગવાની દુર્ગંધ આવી રહી છે. તપાસ કરતાં ખબર પડી હતી કે એક સીટ પાસે લટકાવવામાં આવેલી એક બેગમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. ત્યાર બાદ તેની જાણ તરત ફલાઇટના પાઇલટને કરવામાં આવી હતી. ચાલક દળના સભ્યોએ ત્યાં બેઠેલા પ્રવાસીઓને અન્યત્ર ખસેડયા હતા અને બેગમાં રાખેલા લેપટોપની આગ બુઝાવી હતી. બેંગલુરુ એરપોર્ટ ખાતે સુરક્ષિત લેન્ડિંગ સુધી લેપટોપને પાણીમાં ડુબાડીને રાખવામાં આવ્યું હતું.આ અગાઉ સપ્ટેમ્બરમાં પણ ઇન્ડિગોની એક ફલાઇટમાં સેમસંગ નોટ-ર સ્માર્ટ ફોનમાં પણ આગ લાગી હતી. જોકે સમય સૂચકતાને કારણે મોટી દુુર્ઘટના નિવારાઇ હતી.