આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારભર્યા કેસમાં જૂનાગઢના ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને આખરે આજે સાબરતી જેલ સત્તાવાળાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારી લેવી પડી હતી અને જેલભેગા થવાનો વારો આવ્યો હતો. આ કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના જામીન તાજેતરમાં જ સુપ્રીમકોર્ટે ફગાવ્યા બાદ તેમને તાત્કાલિક જેલ સત્તાવાળા સમક્ષ શરણે થઇ જવા પણ સુપ્રીમકોર્ટે તાકીદ કરી હતી, જેને પગલે દિનુ બોઘા સોલંકીએ આજે જેલ ઓથોરીટી સમક્ષ હાજર થઇ ગયા હતા. ગીર વન્ય ક્ષેત્રમાં માઇનીંગ સહિતની ગેરકાયદે ખનન સહિતની પ્રવૃત્તિઓ સામે લડાયક ઝુંબેશ ચલાવનાર આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની ૨૦૧૦માં ગુજરાત હાઇકોર્ટની સામે જ પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેમના ભત્રીજા શિવા સોલંકી સહિત છ આરોપીઓના નામો ખુલ્યા હતા અને પોલીસે તમામની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. જેમાં દિનુ બોઘા સોલંકી બાદમાં જામીન પર મુકત થયા હતા. ચકચારભર્યા જેઠવા હત્યા કેસમાં સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટમાં તેનો ટ્રાયલ ચાલ્યો હતો પરંતુ તેમાં મોટાભાગના એટલે કે, લગભગ ૧૦૫ સાક્ષીઓ ફરી ગયા હતા, જેમાં મહત્વના તાજના ૨૬ સાક્ષીઓનો પણ સમાવેશ થતો હતો. જેથી જેઠવાના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી કરી ગંભીર આક્ષેપો કર્યા હતા કે, દિનુ બોઘા સોલંકી અને તેના માણસો દ્વારા અપાતી ધમકી અને પ્રલોભનોના કારણે આ કેસના મોટાભાગના સાક્ષીઓ ફરી ગયા છે અને તેથી તેમને ન્યાય મળશે. આ સંજોગોમાં સમગ્ર કેસનો ટ્રાયલ ફરીથી ચલાવવામાં આવે. જેઠવાના પિતા તરફથી સોંગદનામા રજૂ કરી કેટલાક પુરાવા પણ અદાલતના ધ્યાન પર મૂકાયા હતા. જેને ધ્યાનમાં લઇને હાઇકોર્ટે જેઠવા હત્યા કેસમાં રિટ્રાયલનો હુકમ કર્યો હતો અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના જામીન રદ કર્યા હતા. આ હુકમથી નારાજ સોલંકીએ સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે પણ દિનુ બોઘા સોલંકીને કોઇ રાહત આપી ન હતી અને તેમને જેલ સત્તાવાળાઓ સમક્ષ તાત્કાલિક હાજર થઇ જવા ફરમાન કર્યું હતું. સુપ્રીમકોર્ટમાંથી કોઇ રાહત નહી મળતાં આજે દિનુ બોઘા સોલંકી સાંજે ૪-૩૦ વાગ્યા બાદ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટ ખાતે સીબીઆઇ સ્પેશ્યલ કોર્ટ સમક્ષ હાજર થઇ ગયા હતા., જયાં સીબીઆઇ સ્પેશ્યલ જજ કે.એમ.દવેએ તેમને સાબરમતી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. જેથી દિનુ બોઘા સોલંકી મોડી સાંજે સાબરમતી જેલમાં જેલ ઓથોરીટી સમક્ષ હાજર થઇ ગયા હતા. આમ, જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીને જેલભેગા થવાનો વારો આવ્યો છે.