રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે આજેે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ ટ્વેન્ટી મેચોની શ્રેણી પૈકી બીજી ટ્વેન્ટી મેચ રમાનાર છે. ભારતીય ટીમે હાલમાં જ વનડે શ્રેણીમાં જીત મેળવ્યા બાદ હવે ટ્વેન્ટી શ્રેણી જીતી લેવા માટે પણ સજ્જ છે. પ્રથમ ટ્વેન્ટી મેચમાં ભારતે શાનદાર દેખાવ કરીને ન્યુઝીલેન્ડ ઉપર જીત મેળવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ આ મેચને લઇને પણ ખુબ આશાવાદી છે. પ્રથમ મેચમાં ભારત તરફથી શિખર ધવન અને રોહિત શર્માએ ધરખમ બેટિંગ કરી હતી. આવતીકાલની મેચમાં પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બીજી બાજુ પ્રવાસી ન્યુઝીલેન્ડની ટીમ વિલિયમસનના નેતૃત્વમાં વાપસી કરવાના મૂડમાં દેખાઈ રહી છે. પ્રથમ મેચમાં ભારતે જોરદાર બેટિંગ કરીને ૨૦૦થી વધુ રનનો જુમલો ખડક્યો હતો. જીતવા માટેના ૨૦૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ન્યુઝીલેન્ડની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૪૯ રન બનાવી શકી હતી. ન્યુઝીલેન્ડ તરફથી લાથમે સૌથી વધુ ૩૯ રન બનાવ્યા હતા. જ્યારે વિલિયમસને ૨૮ રન બનાવ્યા હતા. ભારત તરફથી ચહેલે બે અને અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ મેદાન પર રમાનારી મેચને લઇને તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. બંને ટીમો પહોંચી ચુક્યા બાદ જોરદાર પ્રેક્ટિસ પણ કરી રહી છે. ભારતીય ટીમનો ઉત્સાહ અભૂતપૂર્વ દેખાઈ રહ્યો છે. બીજી બાજુ ન્યુઝીલેન્ડ ટીમ પણ માર્ટિન ગુપ્ટિલ, વિલિયમસન, લાથમ ઉપર મુખ્ય આધાર રાખી રહી છે. આ ટ્વેન્ટી મેચમાં પ્રથમ મેચની જેમ જ ટોસ નિર્ણાયક ભૂમિકા અદા કરી શકે છે. ભારતે હાલમાં રમાયેલી તમામ શ્રેણીમાં હરીફ ટીમો કારમી હાર આપી છે. વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીની આગેવાનીમાં ભારતીય ટીમ ક્રિકેટમાં એક પછી એક સિદ્ધિઓ હાસલ કરી રહી છે. વાનખેડે ઉપર શાનદાર દેખાવ બાદ કેન વિલિયમસને પણ કહ્યું છે કે, બુમરાહ અને ભુવનેશ્વર કુમાર વિશ્વ ક્રિકેટમાં ખુબ જ લાઇનલેન્થ ધરાવતા બોલરો છે. બંને બોલરોની પ્રશંસા કરતા કેન વિલિયમસન પણ રહી શક્યા નથી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેદાન ખાતે રમાનારી મેચને લઇને ચાહકોમાં ક્રિકેટ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો પહોંચે તેવી શક્યતા છે. કોઇપણ પ્રકારના અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવાયા છે. આયોજકો દ્વારા પહેલાથી જ થિયરી કરાઈ છે. બીજી બાજુ ક્રિકેટરો જ્યાં રોકાયા છે તે હોટલોની આસપાસ મજબૂત સુરક્ષા ગોઠવી દેવાઈ છે. સાવચેતીના પગલા લેવાયા છે.