ગુજરાત ગૌરવ યાત્રાના દિવસે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ કોંગ્રેસ ઉપર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતુ ંકે, ૫૦ વર્ષના તેના શાસનમાં કોંગ્રેેસે ગુજરાતના વિકાસને અવરોધવાનું જ કામ કર્યું હતું જ્યારે ભાજપે તેના શાસન દરમિયાન માત્રને માત્ર ગુજરાતનો વિકાસ કરવાનું કામ કર્યું છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે, સુખીભઠ્ઠ સાબરમતીથી લઇને નર્મદા યોજના આડે અંતરાયો ઉભા કરનાર કોંગ્રેસને ગુજરાતના વિકાસ વિશે બોલવાનો લેશમાત્ર અધિકાર નથી. જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રપંચો, લોભામણી જાહેરાતો, જુઠ્ઠાણા ગુજરાતની જનતા સ્વિકારવાની નથી. ગૌરવ યાત્રા જનતાની યાત્રા છે. સર્વસમાજની યાત્રા છે. ગુજરાત ગૌરવ યાત્રા કોંગ્રેસની અંતિમ યાત્રા બની રહેશે. સૌ સાથે મળી આજ દિવાળી કાલ દિવાળી-કોંગ્રેસ તારી છેલ્લી દિવાળી એ અભિયાનને સાર્થક કરવા સૂચન કર્યું હતું. આનંદીબેન પટેલે કહ્યું હતું કે, સાચા અર્થમાં વિકાસના કાર્યો ભાજપ શાસનમાં થયા છે. મોદીના શાસનકાળમાં વિકાસ કાર્યો શરૂ થયા હતો. બાળકોને ૧૦૦ ટકા શિક્ષણ, પોષણ, તેમના આરોગ્યની ચિંતા ભાજપ શાસને કરી છે. મા વાત્સલ્ય કાર્ડ દ્વારા ગરીબ પરિવારોના આરોગ્યની ચિંતા કરી ૭૦૦ કરોડ જેટલી જંગી રકમ તેને ફાળવવામાં આવી છે. આરોગ્યની ચિંતા સરકારે કરી છે. કેન્સર અંગે નિશુલ્ક સારવાર માટે ભાજપ શાસને વ્યવસ્થા કરી છે. દિવસરાત જોયા વગર સતત દોઢ વર્ષ સુધી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક લાખ ખેડૂતો પાસેથી ૯૦ હજાર હેક્ટર જમીન સંપાદન કરીને નર્મદાના પાણી ભુજ અને સૌરાષ્ટ્રની સુકી ધરતી સુધી ભાજપે પહોંચાડ્યા છે. ખેડૂતોને કોંગ્રેસના શાસનમાં ૧૮ ટકા વ્યાજે લોન મળતી હતી. ભાજપના શાસનમાં એક ટકા વ્યાજે લોન મળી રહી છે.