શહેરના ઓઢવ વિસ્તારમાં ગઇ મોડી રાત્રે કેટલાક સ્થાનિક અસામાજિક તત્વોએ એક લક્ઝરી બસમાં તલવાર સહિતના ઘાતક હથિયારો સાથે ઘૂસી જઇ પેસેન્જરો પર હુમલો કર્યો હતો. લક્ઝરી બસમાં સીટ પુશબેક કરવા બાબતે થયેલી તકરારે વરવુ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આખરે હિચકારા હુમલામાં પરિણમી હતી. બે પેસેન્જરો વચ્ચેની બબાલ અને મારામારીમાં સમગ્ર મામલો શાંત પાડવા વચ્ચે પડેલા એક યુવક વગર લેવા દેવા વગરનો હુમલાખોર અસામાજિક તત્વોના હાથે રહેંસાઇ ગયો હતો. યુવકની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અરેરાટીની લાગણી ફેલાઇ ગયા હતા. આ હુમલામાં એક પેસેન્જરના માતા અને પુત્રી પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઓઢવ પોલીસે સમગ્ર બનાવ અંગે જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના ઓઢવ વિસ્તારમાં રહેતા નવરાત્રિ હોવાથી બે દિવસ પહેલાં દીપ ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસના સંચાલક પેસેન્જરોને પાવાગઢ દર્શન કરવા માટે લઇ ગયા હતા. આ યાત્રામાં ઓઢ વિસ્તારમાં રહેતાં શનિકુમાર ધર્મેન્દ્રકુમાર વર્મા, તેમની માતા પ્રિયાદેવી અને બહેન પૂજા વર્મા પણ ગયા હતા. બસમાં આ જ વિસ્તારના કર્ણાવતીપાર્ક ખાતે રહેતો પરબતસિંહ કુશવાહ પણ ગયો હતો. યાત્રા દરમ્યાન પરબત બસમાં તેની સીટ પુશબેક કરીને બેઠો હતો ત્યારે પાછળ બેઠેલા શનિકુમારના પરિવારજનોને તે સીટ નડતાં તેને સીટ સીધી કરવા શનિકુમારે વિનંતી કરી હતી. પરંતુ આ મુદ્દે શનિકુમાર અને પરબત કુશવાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી પણ થઇ હતી. દરમ્યાન પરબતે આ બાબતની અદાવત રાખી તેના સાગરિત ધર્મેન્દ્રને ફોન કરી દીધો હતો. જેથી બસ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ઓઢવ આવી ત્યારે સીએમસી વહેળા પાસે આરોપી ધર્મેન્દ્ર, તેના સાગરિતો ઋષભ, ચંદન સહિતના માણસોને લઇ તલવાર, પાઇપો સહિતના ઘાતક હથિયારો સાથે લકઝરી બસમાં ઘૂસી ગયો હતો અને પરબતના કહેવા મુજબ, શનિકુમાર પર ઘાતક હથિયારો વડે હુમલો કરી દીધો હતો. આ વખતે તેમની માતા અને બહેન વચ્ચે પડતાં તેમને પણ ઇજા પહોંચી હતી. વાત વધુ વણસતાં બસમાં બેઠેલ રવિન્દ્રકુમાર દીનાનાથ સિંહ નામનો યુવક વચ્ચે પડયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, હુમલાખોર શખ્સોએ ઉશ્કેરાઇ જઇ આવેશમાં આ યુવક પર પણ હુમલો બોલી દીધો હતો. જેમાં ગંભીર ઇજાઓ થવાના કારણે યુવક રવિન્દ્રકુમારનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, ઇજાગ્રસ્ત માતા અને પુત્રીને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. આ બનાવ અંગે શનિકુમાર વર્માએ ઓઢવ પોલીસમથકમાં હુમલાખોર સાત શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.