મ્યાંમારમાંથી તગેડી મૂકાયેલા ૧,૨૦૦ જેટલા રોહિંગ્યા મુસ્લિમો રાજધાની નવી દિલ્હીમાં આશરો લઈ રહ્યા છે.હાલ ભારતમાં દિલ્હી, કાશ્મીર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને હૈદરાબામાં આશરે ૪૦ હજાર જેટલા રોહિંગ્યા મુસ્લિમો ગેરકાયદે રીતે વસી રહ્યા છે.દિલ્હીમાં મદનપુર ખદર અને શાહીન બાગમાં રોહિંગ્યા મુસ્લિમો માટે ખાસ કેમ્પ ઊભા કરાયા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, બિહારમાં પણ કેટલાક રોહિંગ્યા મુસ્લિમોએ આશરો લીધો હોવાના અહેવાલ છે.મ્યાંમારના રાખિનેમાં સામૂહિક હત્યાકાંડના ડરથી હજારો રોહિંગ્યા મુસ્લિમો બાંગ્લાદેશ તરફ ભાગી ગયા છે. અહીં પણ સરહદે તેમને પ્રવેશવા નહીં દેવાતા તેઓની સ્થિતિ કફોડી બની ગઈ છે.યુએન દ્વારા પણ રોહિંગ્યાને સૌથી વધુ અત્યાચાર સહન કરી રહેલી લઘુમતી જાહેર કરાઈ છે. દિલ્હીમાં નુરુલ નામના ૧૨ વર્ષીય રોહિંગ્યા બાળકે પણ રાખિનેમાં તેમના ઘર પર સૈનિકોએ કેવી રીતે હુમલો કર્યો હતો તેનું દર્દનાક વર્ણન કર્યું હતું.નુરુલે કહ્યું હતું કે, અમને મહેરબાની કાઢીને પાછા ના મોકલો. મારા પિતા પાસે પૈસા ન હતા. અમે દિવસો સુધી ભૂખ્યા રહેતા હતા. એ વખતે અમે ભારત આવી ગયા. અહીં તેમણે માછલીઓ વેચવાનું ચાલુ કર્યું અને પછી પૈસા આવવા લાગ્યા. હું મારા વતન ક્યારેય પાછો જવા નથી માંગતો. હું અહીં સુખી છું કારણ કે, અહીં હું સ્કૂલે જઉં છું.નોબલ પુરસ્કાર વિજેતા આંગ સાન સૂ કિ પર આરોપ છે કે, મ્યાંમારમાં તેમના જેવા સર્વોચ્ચ નેતાઓના ઈરાદે જ રોહિંગ્યા મુસ્લિમોની કત્લેઆમ થઈ રહી છે.
આગળની પોસ્ટ