ગુજરાત વિધાનસભાની ચંૂંટણીઓ પૂર્વે આગામી દિવસોમાં ગુજરાતભરમાં ૨૧ જેટલા જનાદેશ મહાસંમેલન યોજવાની આજે ઓબીસી,એસી,એસટી એકતા મંચના પ્રમુખ અને ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે જાહેરાત કરી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતની જનતાનો જનાદેશ મેળવવા અને લોકોનો મત પ્રાપ્ત કરવાના આશયથી આ મહાસંમેલનો યોજવાની તેમણે જાહેરાત કરી હતી. અલ્પેશ ઠાકોરે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે, તા.૨જી ઓકટોબરના રોજ ગાંધીનગર ખાતે મળનારા વિશાળ જનાદેશ મહાસંમેલનમાં તેઓ તેમનું રાજકીય સ્ટેન્ડ સ્પષ્ટ કરશે અને કયા પક્ષ સાથે જોડાવું તે જનતાનો મત જાણ્યા બાદ જાહેર કરશે. ગાંધીનગરના મહાસંમેલનમાં પાંચ લાખથી વધુ લોકો ઉમટે તેવી શકયતા વ્યકત કરાઇ છે. ઓબીસી,એસી,એસટી એકતા મંચના પ્રમુખ અને ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, તેમના માટે બધા વિકલ્પ ખુલ્લા છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં શાસકપક્ષ ભાજપ સાથે જોડાવું કે, કોંગ્રેસનો હાથ પકડવો તે લોકોનો અભિપ્રાય અને મત જાણ્યા બાદ જ નક્કી કરીશું. તે તેમના સમુદાયને ખાસ કરીને યુવાનો, ગરીબો, ખેડૂતો અને મહિલાઓને મજબૂત બનાવવા અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે રાજકારણમાં જોડાવા ઇચ્છે છે. તેમણે ઉમેર્યું કે, તેઓ સમાજના તમામ નબળા વર્ગ માટે લડી રહ્યા છે. તેઓ રાજકારણમાં સમાજના કલ્યાણ માટે આવવા માંગે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભા ચૂંટણીને લઇ રાજયની કુલ ૧૮૨ વિધાનસભા બેઠકો પૈકી ૧૦૮ બેઠકો પર બુથ મેનેજમેન્ટ પ્રક્રિયા તેમણે હાથ ધરી છે અને આ વખતે તેઓ લોકોની સરકાર બનાવવા ઇચ્છે છે. તા.૨જી ઓકટોબરના કાર્યક્રમમાં તેઓ તેમનું રાજકીય વલણ સ્પષ્ટ કરશે.