૧૫મી ઓગસ્ટ ૨૦૧૭, જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્યદિનની ઉજવણી કાલાવડના જી.આઇ.ડી.સી. મેદાન ખાતે રાજયના કૃષિ અને ઉર્જા કેબીનેટ મંત્રીશ્રી ચિમનભાઇ શાપરીયાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. આ અંગે આગોતરા આયોજન માટેની બેઠક જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભા ખંડમાં યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી આર.જે.માકડીયાએ જણાવ્યુ હતુ કે, જિલ્લા કક્ષાની ૧૫મી ઓગસ્ટની ઉજવણીના અનુસંધાને સફાઇ ઝુંબેશ હાથ ધરવા, રોડ રસ્તા તેમજ લાઇટીંગની વ્યવસ્થા કરવા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવા, વૃક્ષારોપણ કરવા, યોગાસન અંગેની તાલીમ બાળકોને આપવા, જરૂરી વ્યવસ્થાઓ કરવા સંબધિત અધિકારીઓને સુચનાઓ અને માર્ગદર્શન આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડ્યા, પોલીસ અધિક્ષકશ્રી પ્રદિપ સેજુલ, અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠક્કર તેમજ જિલ્લાભરના વિવિધ વિભાગોના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.