ભારતીય ક્રિકેટ ટીમ હાલ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. હાર્દિક પંડ્યાની ઈજાએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩ દરમિયાન ભારતીય ટીમની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. હાર્દિકને બાંગ્લાદેશ સામે થઇ ઈજા હવે વધુ ગંભીર થતી દેખાઈ રહી છે. પહેલા સમાચાર મળ્યા હતા કે પંડ્યાને પગની ઘૂંટીમાં ઈજા થઈ છે અને તે એક મેચ નહી રમે પરંતુ પછી તે ટીમ સાથે જોડાશે, પરંતુ હવે સમાચાર છે કે તેને લિગામેન્ટ ફાટી ગયું છે જેને સાજા થવામાં બે અઠવાડિયા લાગી શકે છે.
હાર્દિક પંડ્યા આવી સ્થિતિમાં આગામી કેટલીક મેચો રમી શકેશે નહી. જો કે ભારતીય ટીમ તેના રિપ્લેસમેન્ટ વિશે વિચારી રહી નથી અને તે હાર્દિકના નોકઆઉટમાં વાપસીની રાહ જોશે. મળેલા અહેવાલ મુજબ હાર્દિકને પગની ઘૂંટીમાં ગ્રેડ-૧ લિગામેંટ ફાટી ગયું છે. જેના કારણે તે ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા સામે આગામી મેચમાં રમી શકશે નહી.
બીસીસીઆઈના એક સૂત્રના જણાવ્યા મુજબ નીતિન પટેલની આગેવાની હેઠળની મેડિકલ ટીમ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં હાર્દિકનું નિરીક્ષણ કરી રહી છે. ઈજા વધુ ગંભીર હોવાનું જણાય છે. તેને લિગામેંટની નાની ઈજા થઈ હોય તેવું લાગે છે જેને સાજા થવામાં સામાન્ય રીતે ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. તેની ઈજા ઠીક થાય તે પહેલા એનસીએતેને રિલીઝ કરશે નહીં. ટીમ મેનેજમેન્ટને મેડિકલ ટીમે કહ્યું છે કે તેઓને આશા છે કે તે જલ્દી મેદાન પર પાછો ફરશે.