આપણા દેશને ઈન્ડિયા કે પછી ભારત કયા નામે સંબોધિત કરવો જોઈએ? આ સવાલ પહેલીવાર થયો નથી. વર્ષો પહેલા આ મામલે એક અરજી સુપ્રીમકોર્ટમાં દાખલ થઈ હતી. તે સમયે કોર્ટે નામ પસંદકરવાને કોઈ વ્યક્તિનો અંગત નિર્ણય ગણાવ્યો હતો. સાથે જ આ મામલે દખલ કરવાનો પણ ઈનકાર કરી દીધો હતો. જોકે થોડાક જ વર્ષો બાદ જ્યારે ફરી ઈન્ડિયા નામ હટાવવાની અરજી સુપ્રીમકોર્ટ પહોંચી તો કોર્ટે સરકાર પાસે જવાની ભલામણ કરી હતી.
વાત ૨૦૧૬ની છે. માર્ચનો મહિનાનો અને તત્કાલીન સીજેઆઈ (સીજેઆઈ) ટી.એસ.ઠાકુર સામે એક્ટિવિસ્ટ નિરંજન ભટવાલની અરજી આવી. તેમાં બંધારણની કલમ ૧માં નોંધાયેલી શબ્દાવલી પર સ્પષ્ટતાની માગ કરાઈ હતી. તેમનું કહેવું હતું કે ઈન્ડિયા શબ્દ ભારતનો શાબ્દિક અનુવાદ નથી. અરજીમાં કહેવાયું હતું કે ઈતિહાસ અને ગ્રંથોમાં તેને ભારત કહેવાયું છે. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ઈન્ડિયા અંગ્રેજો તરફથી નામ અપાયું હતું. તેમણે માગ કરી હતી કે દેશના નાગરિકો એ વાતથી વાકેફ હોવા જોઈએ કે તેમણે પોતાના દેશનું શું નામ રાખવું છે.
અરજી પર સુનાવણી કરતાં સીજેઆઈએ કહ્યું હતું કે કોઈપણ નાગરિકને એ નિર્દેશ ન આપી શકે તેઓ તેમના દેશને શું કહે. સીજેઆઈ ઠાકુરે કહ્યું હતું કે જો તમે આ દેશને ભારત કહેવા માગો છો તો આગળ વધો અને તેને ભારત કહો. જો કોઈ આ દેશને ઈન્ડિયા કહેવાનું પસંદ કરે છે તો તેને ઈન્ડિયા કહેવા દો. અમે દખલ નહીં કરીએ.
૨૦૨૦ માં તત્કાલિન સીજેઆઈ એસ.એ.બોબડે સામે પણ અરજી આવી હતી. તેમાં ભારતના બંધારણની કલમ ૧થી ઈન્ડિયા શબ્દ હટાવવાની માગ કરાઈ હતી. સાથે જ કહેવાયું હતું કે દેશના નામમાં એક સમાનતા હોવી જોઈએ. સીજેઆઈએ આ અરજી પર વિચારણાં નહોતી કરી. તેમણે અરજદારને કહ્યું હતું કે ભારત અને ઈન્ડિયા બંને જ નામ બંધારણે આપ્યા છે. ઈન્ડિયાને બંધારણમાં પહેલાથી જ ભારત કહેવાયું છે. આ ઉપરાંત સૂચન આપ્યું છે કે અરજીને રિપ્રેઝેન્ટેશન તરીકે બદલીને કેન્દ્રીય મંત્રાલયને મોકલી શકાય છે.