Aapnu Gujarat
ગુજરાત

અમેરિકા-કેનેડા બોર્ડર પર મોતને ભેટેલ ચૌધરી પરિવારના અંતિમ સંસ્કાર કરાયા

અમેરિકા-કેનેડા બોર્ડર પર સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી મોતને ભેટેલા મહેસાણાના કમનસીબ ચૌધરી પરિવારના ચાર સભ્યોના અંતિમ સંસ્કાર કરી દેવાયા છે. કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન સિટીમાં ૧૦ એપ્રિલે હિંદુ વિધિ અનુસાર પ્રવીણ ચૌધરી, તેમના પત્ની દક્ષાબેન ચૌધરી તેમજ દીકરી વિધિ અને દીકરા મિતના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હ્યુમન્સ ફોર હાર્મની નામની એક સંસ્થા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર રહ્યા હતા. મહેસાણા જિલ્લાના માણેકપુરા ડભોડા ગામના વતની પ્રવીણ ચૌધરીના પરિવારમાંથી કોઈ કેનેડા નહોતું પહોંચી શક્યું, અને ચારેય મૃતકોના પાર્થિવ શરીર કેનેડાથી ઈન્ડિયા લઈ જવાની પણ તેમની સ્થિતિ ના હોવાથી વિદેશની ધરતી પર જ તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
કેનેડિયન મીડિયાના રિપોટ્‌ર્સ અનુસાર, અમેરિકાના અલબામામાં રહેતા પ્રવીણભાઈ ચૌધરીના બહેન કાંતાબેન અને તેમની દીકરી મોનાલી ચૌધરી અંતિમવિધિમાં હાજર રહ્યા હતા. પ્રવીણ ચૌધરીની ભાણી મોનાલી ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે, ’તેને હજુય વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેના કઝિન્સ અને મામા-મામી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ વિઝિટર વિઝા પર કેનેડા આવ્યા હતા, પરંતુ ત્યાંથી તેમનો અમેરિકા આવવાનો પ્લાન હતો તે અંગે કોઈને કંઈ ખબર નહોતી. મોનાલીએ એમ પણ કહ્યું હતું કે, જે થવાનું હતું તે થઈ ગયું, હવે તેમને સમ્માન સાથે અંતિમ વિદાય આપવી જોઈએ.’ ઈન્ડિયાથી ચૌધરી પરિવારના કોઈ સભ્ય અંતિમવિધિ માટે કેનેડા આવી શકે તેમ ના હોવાથી ઈન્ડિયન કોન્યુલેટ દ્વારા હ્યુમન્સ ફોર હાર્મની નામની સંસ્થાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. હિંદુ વિધિથી અંતિમ સંસ્કાર કરાયા બાદ ચૌધરી પરિવારના સભ્યોના અસ્થિ ગુજરાત મોકલવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
આ ઘટના બની ત્યારે શરૂઆતમાં દક્ષાબેન ચૌધરી ગુમ થયા હોવાનું બહાર આવ્યું હતું, જોકે બાદમાં તેમની બોડી પણ મળી આવી હતી. જોકે, ચૌધરી પરિવાર જે વ્યક્તિની બોટમાં સવાર હતો તે હજુય ગુમ છે. ચૌધરી પરિવારની પ્રાર્થના સભાનું આયોજન કરનારી સંસ્થાના પ્રમુખ ડોન પટેલે જણાવ્યું હતું કે આવી ફરજ પણ અદા કરવાની આવશે તેવી કેનેડામાં રહેતા કોઈ ગુજરાતીએ કલ્પના પણ નહીં કરી હોય. તેમણે સ્થાનિક મીડિયાને એવું પણ કહ્યું હતું કે કેનેડા કે અમેરિકા આવવાના ઘણા લીગલ ઓપ્શન્સ છે, અને ઘણી તકો પણ અહીં ઉપલબ્ધ છે. મેમ્બર ઓફ પ્રોવિન્શિયલ પાર્લામેન્ટ દીપક આનંદે ભારતીયોને આ પ્રકારના શોર્ટકટ ના લેવા માટે અપીલ કરતા કહ્યું હતું કે જો કોઈ આવું કરે તો આપણે તેમને રોકવા જોઈએ અને તેમને સમજાવવા જોઈએ કે તેઓ જે કરવા જઈ રહ્યા છે તે કેટલું જોખમી છે.
ચૌધરી પરિવાર ફેબ્રુઆરી મહિનામાં વિઝિટર વિઝા પર કેનેડા પહોંચ્યો હતો, અને ચારેય સભ્યો એક મહિનાથી પણ વધુ સમયથી ટોરેન્ટોમાં જ હતા. તેઓ ૨૯ માર્ચે બોટમાં સવાર થઈને અમેરિકા જવા માટે નીકળ્યા હતા. લાંબી મુસાફરી બાદ તેમને ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકાના ન્યૂયોર્ક પહોંચવાનું હતું, પરંતુ આ પરિવારે જ્યારે પોતાની મુસાફરી શરૂ કરી તે વખતે હવામાન ખરાબ હોવાથી સેન્ટ લોરેન્સ નદી તોફાની બની હતી. બીજી તરફ, ચૌધરી ફેમિલી જે બોટમાં સવાર હતી તે સાવ નાની હતી, અને તેમાં તેમની સાથે એક રોમાનિયન ફેમિલીના પણ ચાર લોકો હતા. તોફાની નદીમાં ચૌધરી પરિવારની બોટ ડેમેજ થઈને ડૂબી ગઈ હતી અને આ દુર્ઘટનામાં બોટમાં સવાર તમામ આઠ લોકોના ડૂબી જવાથી મોત થયા હતા જ્યારે બોટચાલક હજુય લાપતા છે, આ ઘટના બની ત્યારે આ સમગ્ર વિસ્તારમાં કાતિલ ઠંડી પણ હતી.
ગુજરાત પોલીસે ચૌધરી પરિવારને પહેલા કેનેડા અને ત્યાંથી અમેરિકા મોકલવામાં સામેલ ત્રણ એજન્ટોની ઓળખ કરી લીધી છે. એવું પણ જાણવા મળ્યું હતું કે ચૌધરી પરિવારના મોતના સમાચાર બહાર આવતા આ એજન્ટો તાબડતોબ માણેકપુરા ગામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે લોકો સાથે મિટિંગ કરીને આ ઘટના અંગે કંઈ ના બોલવા માટે જણાવ્યું હતું. જોકે, પોલીસની ભીંસ વધતા આ ત્રણેય એજન્ટો હાલ ફરાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવીણભાઈ ચૌધરી પાસે વતનમાં ત્રણ એકર જમીન હતી, તેમનો પરિવાર પૈસે-ટકે પણ સુખી હતો. તેમનો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ હતો, જે છ મહિના પહેલા જ તેમણે બંધ કર્યો હતો. તેમના બંને સંતાનોએ નર્સિંગનો અભ્યાસ કર્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, તેમના પરિવારજનો હજુય એમ જ કહી રહ્યા છે કે તેઓ કેનેડા ફરવા ગયા હતા, અને ત્યાંથી તે અમેરિકા જવાના છે તે વાતની કોઈને ખબર નહોતી. પ્રવીણભાઈ કેનેડાથી નિયમિત પોતાના ભાઈઓને વિડીયો કોલ કરતા હતા, તેમજ પોતાના ફોટોગ્રાફ પણ શેર કરતા હતા. તેઓ અમેરિકા જવા નીકળ્યા તેના એક-બે દિવસ પહેલા પણ તેમની મહેસાણા વાત થઈ હતી.
ચૌધરી પરિવારને અમેરિકા લઈ જવા માટે સેસી ઓક્સ નામનો એક કેનેડિયન બોટચાલક નીકળ્યો હતો, જે આ ઘટના બાદ હજુય લાપતા છે. બોટ કયા સંજોગોમાં ડૂબી અને તે વખતે શું સ્થિતિ હતી તેની તમામ માહિતી મેળવવાનો એકમાત્ર આધાર સેસી જ હતો. તેની ભાળ મેળવવા માટે કેનેડાની પોલીસે આ દુર્ઘટના બન્યાના ચારેક દિવસ સુધી આઠ કિલોમીટર જેટલા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. જોકે, સેસીને શોધવાના કોઈ પ્રયાસ સફળ ના થતાં આખરે સર્ચ ઓપરેશનને બંધ કરવામાં આવ્યું હતું. બીજી તરફ, ચૌધરી પરિવારના મહેસાણા રહેતા સભ્યોએ એવી પણ વાત કરી હતી કે પ્રવીણભાઈને પાણીથી ખૂબ જ ડર લાગતો હતો, અને તેઓ બોટમાં બેસવા ક્યારેય તૈયાર નહોતા થતા. જોકે, અમેરિકા જવા માટે તેઓ પોતાના જીવનનું સૌથી મોટું રિસ્ક લેવા તૈયાર થઈ ગયા હતા, પરંતુ તેમને કદાચ ખબર નહોતી કે તેમની આ સફર તેમની પોતાની જ નહીં, પરંતુ તેમના પરિવારની પણ અંતિમસફર બની રહેશે.

Related posts

દેશમાં વૃદ્ધોની સંખ્યા ૩.૮ ટકાના દરે વધે છે

aapnugujarat

ભાવનગરમાં ભારતીય કિસાન સંઘે જીતુ વાઘાણીના ઘર બહાર ધરણા યોજ્યા

aapnugujarat

ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ઝુંબેશને લઇ ફરિયાદો ઉઠી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1