સુપ્રીમ કોર્ટે સશસ્ત્ર બળમાં પ્રવેશ કરવા માટેની સરકારની અગ્નિપથ યોજનાને જાળવી રાખવા માટે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી અરજીને રદ્દ કરી છે અને આ યોજનાની માન્યતાની પુષ્ટિ કરી છે. અગ્નિપથ યોજના શરુ થાય એ પહેલાં ભારતીય વાયુસેનામાં ભરતી સાથે સંકળાયેલી એક અરજી પર સુનાવણી માટે કોર્ટે 17 એપ્રિલની તારીખ નક્કી કરી છે. દિલ્હી હાઈકોર્ટે ફેબ્રુઆરીમાં અગ્નિપથ યોજના પર રોક લગાવવાનો ઈનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, અગ્નિપથ યોજનામાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ જગ્યા નથી.
27 ફેબ્રુઆરી, 2023ના રોજ દિલ્હી હાઈકોર્ટે અગ્નિપથ યોજના યથાવત રાખી હતી. સશસ્ત્ર બળમાં ભરતી સાથે સંકળાયેલી કેન્દ્રની આ સ્કીમને લઈને કોર્ટે કહ્યું હતું કે, આ સ્કીમ દેશહિતમાં લાવવામાં આવી છે. જેનો હેતુ સશસ્ત્ર બળને વધુ સારી બનાવવાનો છે. ચીફ જસ્ટીસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટીસ સુબ્રમણ્યમ પ્રસાદની બેંચે અગ્નિપથ યોજનાને પડકારતી અરજીઓને રદ્દ કરતા કહ્યું કે, આમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ જગ્યા જણાતી નથી.
કોર્ટે આ દરમિયાન સશસ્ત્ર બળમાં ભરતી સાથે સંકળાયેલી કેટલીક જાહેરાતો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને રદ્દ કરી હતી. સાથે જ એવું પણ સ્પષ્ટ કર્યુ હતુ કે, આવા ઉમેદવારોને ભરતીનો કોઈ અધિકાર નથી. બેંચે આ પહેલાં ગયા વર્ષે 15 ડિસેમ્બરના રોજ અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 27 ફેબ્રુઆરીના રોજ કહ્યું હતું કે, અગ્નિપથ યોજના રાષ્ટ્રીય સુરક્ષા જાળવા રાખવાના હેતુથી રાષ્ટ્રીય હિતમાં તૈયાર કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ગયા વર્ષે 14 જૂન, 2022ના રોજ અગ્નિપથ યોજના લાવી હતી. જે હેઠળ સશસ્ત્ર બળોમાં જોડાવા માગતા યુવાનો માટે નિયમ નક્કી કર્યા હતા. નિયમો મુજબ, સાડા 17થી 21 વર્ષની ઉંમરના લોકો આવેદન પત્ર કરી શકે છે. આવા યુવકોને ચાર વર્ષ માટે સશસ્ત્ર બળોમાં ભરતી કરવામાં આવશે. ચાર વર્ષ બાદ આમાંથી 25 ટકા અગ્નિવીરોને નિયમિત સેવાની તક આપવામાં આવશે. બાકીના લોકોને ભવિષ્ય માટે વ્યવસાયિક ટ્રેનિંગ આપવામાં આવશે. જો કે, યોજનાની જાહેરાત બાદ અનેક રાજ્યોમાં હિંસક પ્રદર્શન શરુ થઈ ગયા હતા. બાદમાં સરકારે વર્ષ 2022 માટે ભરતીની વધારેમાં વધારે ઉંમર મર્યાદા વાધારીને 23 વર્ષ કરી હતી.