Aapnu Gujarat
રાષ્ટ્રીય

પાન કાર્ડ-આધારને લિંક કરવાની મુદત વધારાઈ, હવે 30 જૂન સુધીનો સમય મળ્યો

પાન કાર્ડ અને આધાર નંબરને લિંક કરવાના મામલે દેશમાં કરોડો લોકો પરેશાન છે ત્યારે સરકારે આ માટેની મુદતમાં ત્રણ મહિનાનો વધારો કર્યો છે. હવે જેમના પાન કાર્ડ-આધાર લિંક કરવાના બાકી છે તેઓ 30 જૂન સુધી 1000 રૂપિયા દંડ ભરીને બંનેને લિંક કરાવી શકશે. ત્યાર પછી પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને PANને ફરીથી એક્ટિવ કરાવવા માટે દંડ ભરવો પડશે. PAN Card- આધારને લિંક કરવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ હતી. પરંતુ હજુ કરોડો લોકોના કાર્ડ લિંક થયા નથી.
ઘણી જગ્યાએ આ બંને કાર્ડ લિંક કરાવવા માટે લોકો લાંબી લાઈન લગાવે છે અને 31 માર્ચની ડેડલાઈન પણ ત્રણ દિવસ પછી પૂરી થવાની હતી. આ દરમિયાન આવકવેરા વિભાગે મહત્ત્વની જાહેરાત કરી છે અને આધાર-પાન કાર્ડને લિંક કરવા માટે ત્રણ મહિનાનો વધારાનો સમય આપ્યો છે.

નાણામંત્રાલયે એક સંદેશમાં જણાવ્યું છે કે પહેલી જુલાઈ, 2023થી જે લોકોએ આધાર અને પાન નંબરને લિંક કરાવ્યા નહીં હોય તેમના પાન કાર્ડ બંધ થઈ જશે. તેઓ કોઈ જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. આ બદલ તેમને કોઈ રિફંડ આપવામાં નહીં આવે અને તેમણે આવકવેરાની કલમો મુજબ સૌથી ઉંચા સ્લેબમાં ટીડીએસ અને ટીસીએસ ભરવો પડશે. ત્યાર પછી 30 દિવસની અંદર આધાર અને પાન કાર્ડને લિંક કરાવીને ફરીથી પાન કાર્ડને સક્રિય કરી શકાશે.

જે લોકો ભારતના નાગરિકો નથી અથવા જેમની વય ગયા વર્ષે 80 વર્ષ અથવા વધારે હોય તેમને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 51 કરોડ પાન નંબર લિંક કરવામાં આવ્યા છે. પરંતુ કરોડો પાન નંબરને આધાર સાથે લિંક કરવાના બાકી છે.

પાન કાર્ડ અને આધારને લિંક કરવાનું સરકારે ફરજિયાત બનાવ્યું અને આવું ન કરવા માટે 1000 રૂપિયાના દંડની જાહેરાત કરવામાં આવી તેના કારણે લોકોમાં ભારે રોષ હતો. સરકારે એમ પણ કહ્યું હતું કે 31 માર્ચ પછી જેમના પાન અને આધાર લિંક નહીં હોય તેમને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે તથા તેમના પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ નિયમનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને ઓછામાં ઓછા છ મહિના સુધી તેમાં રાહત આપવા માટે માંગણી કરવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક કિસ્સામાં પાન અને આધાર લિંક કરતી વખતે લોકોના ખાતામાંથી રૂપિયા કપાઈ ગયા હોય તેવી ફરિયાદો પણ આવી હતી.

Related posts

ગરીબોને ૨૪ કલાક વિજળી આપતી સૌભાગ્ય સ્કીમ લોંચ

aapnugujarat

ચૂંટણી રણશિંગુ ફુંકાતા મોદીએ બધાં લોકોનાં આશીર્વાદ માંગ્યાં

aapnugujarat

નરેન્દ્ર મોદીએ નવ દિનમાં કુલ ૨૧ રેલી સંબોધી હતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1