સ્ટાર બેટર પૃથ્વી શો લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહ્યો છે. તે શાનદાર ફોર્મમાં છે, પરંતુ પસંદગીકારો તેના પર ધ્યાન આપી રહ્યાં નથી. ડોમેસ્ટિક ક્રિકેટમાં શો રનનો વરસાદ કરી રહ્યો છે. હવે તેણે મુંબઈ તરફથી રમતા રણજી ટ્રોફીમાં આસામ સામે ૩૭૯ રન ફટકારી પસંદગીકારોને જવાબ આપ્યો છે. આ સાથે શોએ ઘણા રેકોર્ડ પણ પોતાના નામે કર્યાં છે.
અસમની ટીમે મુંબઈ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ પૃથ્વી શો મેદાનમાં આવ્યો હતો. પૃથ્વી શોએ મેચના પ્રથમ દિવસે બેવડી સદી ફટકારી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે તેણે ત્રેવડી સદી પૂરી કરી હતી. તેણે મેદાનમાં ચારે તરફ રન બનાવ્યા હતા. પૃથ્વી શો ૩૮૩ બોલમાં ૩૭૯ રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગમાં ૪૯ ચોગ્ગા અને ચાર સિક્સ ફટકારી હતી. પરંતુ તે ૪૦૦ રનની ક્લબમાં સામેલ થતાં ચુકી ગયો હતો.
પૃથ્વી શો ૩૭૯ રન બનાવવાની સાથે રણજી ટ્રોફીના ઈતિહાસમાં સર્વાધિક સ્કોર બનાવનાર બીજો બેટર બની ગયો છે. તેણે સંજય માંજરેકરનો રેકોર્ડ તોડ્યો છે, જેણે ૩૭૭ રન બનાવ્યા હતા. રણજી ટ્રોફીમાં સૌથી મોટો સ્કોર બનાવવાનો રેકોર્ડ બીબી નિંબલકરના નામે નોંધાયેલો છે. તેમણે ૧૯૪૮માં કાઠિયાવાડ વિરુદ્ધ તોફાની ઈનિંગ રમી હતી. ત્યારે ૪૪૩ રન ફટકાર્યા હતા. ૨૩ વર્ષના પૃથ્વી શોએ સુનીલ ગાવસકર અને ચેતેશ્વર પુજારાને પાછળ છોડી દીધા છે. ગાવસકરનો રણજી ટ્રોફીમાં સર્વાધિક સ્કોર ૩૪૦ છે. તો પુજારાએ ૨૦૧૨માં કર્ણાટક વિરુદ્ધ ૩૫૨ રન બનાવ્યા હતા.
ભારતીય ટીમે ફેબ્રુઆરી અને માર્ચમાં ઘરેલુ મેદાન પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમવાની છે. પૃથ્વી શોએ ત્રેવડી સદી ફટકારી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. હવે તેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં તક મળી શકે છે. પૃથ્વી શોએ અત્યાર સુધી ટીમ ઈન્ડિયા માટે ૫ ટેસ્ટ મેચ રમી છે, જેમાં ૩૩૯ રન બનાવ્યા છે. જેમાં એક સદી સામેલ છે.