કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાં જેમની ગણતરી થાય છે તે ગુલામ નબી આઝાદે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી લઈને તમામ પદો પરથી રાજીનામું ધરી દીધુ. આઝાદે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને ૫ પાનાનું રાજીનામું મોકલી આપ્યું છે. ગુલામ નબી આઝાદી લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તેઓ કોંગ્રેસના નારાજ નેતાઓના જી-૨૩ જૂથમાં પણ સામેલ હતા. જી-૨૩ જૂથ કોંગ્રેસમાં સતત અનેક ફેરફારની માંગણી કરી રહ્યું છે. આ અગાઉ કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પણ પાર્ટી છોડી હતી. તેમને સપાએ રાજ્યસભા મોકલ્યા છે. ગુલામ નબી આઝાદની નારાજગી ત્યારે સામે આવી હતી જ્યારે તેમણે અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવ્યાના ગણતરીના કલાકોમાં પદેથી રાજીનામું આપ્યું હતું. સોનિયા ગાંધી ઈચ્છતા હતા કે કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં આઝાદના નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણી લડે. આથી તેમને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગુલામ નબી આઝાદે ગણતરીના કલાકોમાં જ રાજીનામું ધરી દીધુ. ત્યારબાદ રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઈ હતી. અનેક મુદ્દાઓને લઈને ગુલામ નબી આઝાદ અને કોંગ્રેસ વચ્ચેના મતભેદ ઉજાગર થયા હતા. પછી ભલે તો અધ્યક્ષ પદ માટેની ચૂંટણી હોય કે પછી કેટલાક મુદ્દાઓ પર પાર્ટીનું સ્ટેન્ડ હોય. ગુલામ નબી આઝાદ તો જી-૨૩ના પણ સભ્ય હતા જે પાર્ટીમાં અનેક મોટા પરિવર્તનની પેરવી કરે છે.