સોખડા હરીધામ મંદિરના વિવાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રેમસ્વરુપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે બેઠક યોજાશે.
બે દિવસ પહેલા સોખડા હરીધામ આશ્રમમાં સમાધાન મામલે હાઈકોર્ટના વકીલ ત્યાં પહોંચ્યા હતા. અગાઉ સંતોને ગોંધી રાખવાનો વિવાદ સામે આવતા મામલો કોર્ટમાં પહોંચતા કાર્યવાહી ચાલી હતી ખાસ કરીને આ કાર્યવાહીમાં આગામી સમયમાં સુનાવણી છે ત્યારે હવે સમાધાન થઈ શકે છે. ગુણાતીત સ્વામીના અપમૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ સંતો વધુ વિવાદમાં ના આવી સમાધાનના રસ્તે જઈ શકે છે.
આગામી 9 મેના રોજ બન્ને સંતો વચ્ચે બેઠક યોજાશે. સમાધાનની બેઠક મળશે. ગુજરાત હાઈકોર્ટના મધ્યસ્થી કેન્દ્રમાં આ બેઠક યોજાશે. સમાધાન પ્રક્રિયા આગામી સમયમાં કરવામાં આવશે. રસ્તો નિકળે તો હાઈકોર્ટના નિવૃત જજ એસ એસ શાહ આ સમાધાન પ્રક્રિયા આગળ વધારશે. આગામી 13 જૂન સુધી કોર્ટમાં મધ્યસ્થીને લઈને રીપોર્ટ આપવાનો રહેશે.
અગાઉ પ્રેમસ્વરૂપ મહારાજના વકીલ સુધીર નાણાવટી મંદિરમાં મધ્યસ્થી મામલે પહોંચ્યા હતા. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને સોખડા હરીધામ મંદિરના સંતો અને ભક્તો સાથે બેઠક કરી હતી હવે સમાધાનની પ્રક્રિયા બે સંતોની ઉપસ્થિતિમાં આગળ વધશે.
આ મામલે અગાઉ લાંબો વિરોધ ચાલ્યો હતો. ત્યારે તત્કાલ કોર્ટે 400 સંતોને ગોંધી રાખવા મામલે તમામ સંતોને સાંભળ્યા હતા અને હવે સમાધાન તરફ આ મામલો જઈ રહ્યો છે.