IPLની વર્તમાન સિઝનમાં ભારતના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ શાનદાર ફોર્મમાં છે. બંને ખેલાડીઓ આ વખતે પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) માટે પ્રબળ દાવેદાર છે અને દરેક મેચમાં સતત વિકેટો લઈ રહ્યા છે. કુલચા (કુલદીપ-ચહલ)ની જોડી, જેણે ગત સિઝનમાં બોલ સાથે સંઘર્ષ કર્યો હતો અને ટીકાઓનો સામનો કર્યો હતો, તેણે આ વખતે બધાની સામે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં ચાર વિકેટ લીધા બાદ કુલદીપ યાદવે કહ્યું કે તેની અને ચહલ વચ્ચે કોઈ સ્પર્ધા નથી. યુઝવેન્દ્ર વિશે વાત કરતાં ચાઈનામેન બોલર કુલદીપે કહ્યું, “તે મારા મોટા ભાઈ જેવો છે અને તેણે મને ખૂબ પ્રોત્સાહિત કર્યો છે.”
આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહેલા કુલદીપે કહ્યું, “જ્યારે હું ઈજાગ્રસ્ત હતો ત્યારે તે મારી સાથે સતત વાત કરતો હતો. હું ઈચ્છું છું કે તે પર્પલ કેપ જીતે.”
કુલદીપ માટે છેલ્લી બે સિઝન ઘણી નિરાશાજનક રહી. તેણે 2020માં પાંચ મેચમાં માત્ર એક વિકેટ લીધી હતી અને તે પછી તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ પછી, તે 2021 ના પ્રથમ ચરણમાં પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર હતો અને તે પછી ઇજાને કારણે બહાર હતો. આ સિઝનની મેગા ઓક્શનમાં કુલદીપને દિલ્હી કેપિટલ્સે બે કરોડની મોટી રકમ સાથે સામેલ કર્યો હતો. 27 વર્ષીય ડાબોડી સ્પિન બોલરે આ સિઝનમાં 17 વિકેટ ઝડપી છે.