શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર ધામિકા પ્રસાદે પોતાની સરકાર સામે મોરચો માંડ્યો છે. તે 24 કલાક માટે ભૂખ હડતાળ પર બેઠો હતો. ધામિકા પ્રસાદે દેશના લોકો માટે ન્યાયની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે શ્રીલંકા હાલમાં આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે.
પ્રસાદે 2019માં બોમ્બ વિસ્ફોટનો ભોગ બનેલા લોકોના ન્યાય માટે વિરોધ પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાજપક્ષેની ઓફિસ નજીક પ્રદર્શન કર્યું હતું. આ ભૂતપૂર્વ ક્રિકેટરે પત્રકારોને જણાવ્યું હતું કે, “હું બોમ્બ વિસ્ફોટોના બધા નિર્દોષ પીડિતો માટે ન્યાય માંગું છું.” 39 વર્ષીય ધામિકા પ્રસાદે 2006 થી 2015 સુધીમાં દેશ માટે 25 ટેસ્ટ અને 24 વન-ડે મેચ રમી છે જેમાં અનુક્રમે 75 અને 32 વિકેટ ઝડપી છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે. આ સ્થિતિમાં શ્રીલંકાના લોકો સરકાર સામે રસ્તા પર ઉતર્યા છે. તાજેતરમાં શ્રીલંકાના ક્રિકેટર દેશના લોકોને સમર્થન આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આઇપીએલમાં ભારતમાં રમી રહેલા અનેક શ્રીલંકન ખેલાડીઓએ શ્રીલંકાના લોકોના સમર્થનમાં ટ્વિટ કર્યા હતા. ભારતની મદદ બદલ શ્રીલંકાના પૂર્વ ખેલાડીઓએ ભારત સરકારનો આભાર માન્યો હતો.