આ મહિનાની શરૂઆતમાં ક્રિપ્ટો કરન્સીમાં ટેક્સ કાયદો અમલમાં આવ્યા પછી ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ વોલ્યુમમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ક્રિપ્ટો ટ્રેડિંગના નફા પર 30 ટકા ટેક્સની જાહેરાત કરી હતી. આ સિવાય દરેક ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર એક ટકા TDS પણ ચૂકવવો પડશે.
રિસર્ચ ફર્મ ક્રેબેકોના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે દેશના ક્રિપ્ટો એક્સચેન્જોના ક્રિપ્ટો ટ્રેડિંગ વોલ્યુમ્સ, જેમાં CoinDCX અને WazirXનો સમાવેશ થાય છે, નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. નવા ટેક્સની બજાર પર નકારાત્મક અસર પડી છે. સરકારે આ અંગે વિચારવું જોઈએ. ક્રિપ્ટોને રોકવાનો કોઈ રસ્તો નથી અને આ કારણસર સરકારે ટેક્નોલોજી અપનાવવી જોઈએ. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે WazirX, CoinDCX અને ZebPay પરના ટ્રેડિંગ વોલ્યુમમાં અનુક્રમે 72 ટકા, 52 ટકા અને 59 ટકાનો ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં બજેટમાં ક્રિપ્ટો ટ્રેડિંગ પર ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી અને ત્યારથી ક્રિપ્ટો માર્કેટમાં ભારે મંદી ચાલી રહી છે.
ઘણા ક્રિપ્ટો નિષ્ણાંતોએ સેગમેન્ટને પ્રતિબંધિત કરવાને બદલે તેને નિયંત્રિત કરવાના સરકારના અભિગમની પ્રશંસા કરી છે, જ્યારે અન્ય લોકો માને છે કે ક્રિપ્ટો નફા પરના ટેક્સનો દર ઘટાડવો જોઈએ.
આ વર્ષના બજેટમાં ક્રિપ્ટો સંબંધિત કાયદો રજૂ કરવામાં આવ્યો હતો અને તેને સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો. આ સાથે દેશમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ ટેક્સના દાયરામાં આવશે. જો કે, વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સની વ્યાખ્યા અંગે મૂંઝવણ છે. નવા ક્રિપ્ટો કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને સાત વર્ષ સુધીની જેલ થઈ શકે છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં કહ્યું હતું કે તે ક્રિપ્ટો માઇનર્સ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા અન્ય લોકોને ટેક્સમાં કોઈ છૂટ આપવાનું વિચારી રહી નથી.