સુરેશ ત્રિવેદી, ભાવનગર
કોરોનાના ત્રીજા વેવની ગંભીરતાને ધ્યાનમાં લઇ સાવચેતીના પગલારૂપે ભાવનગર જિલ્લામાં અને કોરોના રસીકરણની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે.
કોરોનાના પ્રથમ બે તબક્કાઓમાં આપણે કોરોનાની બીમારી શું કરી શકે અને તેના શું ગંભીર પરિણામો આવે તેને પ્રત્યક્ષ નિહાળી ચૂક્યાં છીએ. ત્યારે આવાં જાનલેવા વાયરસથી અગાઉથી જ સાવધાની એ જ સાવચેતીના ન્યાયે જિલ્લાના તમામ લોકો રસીકરણ લઈ લે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય તંત્રે કમર કસી છે.
જિલ્લા કલેકટર શ્રી યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉ. પ્રશાંત જીલાણી,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.તાવિયાડ, આર.સી.એચ.ઓ. ડો.પી.વી.રેવરના માર્ગદર્શનમાં જિલ્લાના જે ગામોમાં ઓછું રસીકરણ થયું છે, તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા તંત્રના આવાં પ્રયાસોને કારણે જ સિહોર તાલુકાના ભાણગઢ ગામમાં એક જ દિવસમાં ૯૦ % રસીકરણની સિદ્ધિ હાંસલ કરી શકાઇ છે.
આ માટે તાલુકા હેલ્થ ઓફિસરનું મોનીટરીંગ, તાલુકા હેલ્થ સુપરવાઇઝરનું આરોગ્ય શિક્ષણનું કામ, મેડિકલ ઓફિસર, આર.બી.એસ.કે. ટીમની ઘેર- ઘેર મુલાકાત, સમજાવટ કારગત સાબિત થઈ છે.