ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા મધ્યાહન ભોજન યોજનાના નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન યોજનાના સંયુકત કમિશ્નરશ્રીની સુચના અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના મધ્યાહન ભોજન યોજના હેઠળના લાભાર્થી બાળકોને જે ફૂડ સિક્યુરિટી (ઘઉ + ચોખા) આપવામાં આવે છે. તેમાં ચાલુ માસથી ચોખામાં ફોર્ટીફાઈડ રાઈસના કર્નલ (F.R.K) આપવામાં આવનાર છે. ફોર્ટીફાઈડ રાઈસ એટલે પોલિશ્ડ કાચા ચોખા અથવા પોલિશ્ડ પારબોઈલડ ચોખા જેને ચોખાના આકારનાં દાણા સાથે ભેળવવામાં આવે છે, જે ભારતના ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીના ધોરણો અનુસાર આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સજજ છે. ફોર્ટીફાઈડ રાઈસના ઉપયોગથી આહારમાં આયર્ન, ઝિંક, ફોલિક એસિડ, વિટામીન બી – ૧૨, વિટામીન-એ જેવા અન્ય તત્વો ઉમેરાય છે.
આ ચોખાનું ફોર્ટીફીકેશન એ ચોખામાં આવશ્યક સુક્ષ્મ પોષક તત્વોમાં વધારો કરવાની પ્રકિયા છે. જેથી ખોરાકની પોષક ગુણવત્તામાં સુધારો થાય અને આરોગ્યને ન્યુનતમ જોખમ સાથે લાભ મળે, શરીરમાં રહેલ આયર્ન સ્ટોર્સ સુધારવા માટેની વ્યુહરચના તરીકે ફોર્ટીફાઇડ ચોખાની અસરકારકતાના વૈજ્ઞાનિક પુરાવા છે. ચોખાનું ફોર્ટીફાઈડ એ એનિમિયા દૂર કરવામાં મદદ કરી શકે છે. જેથી ફોર્ટીફાઇડ ચોખાના ઉપયોગનું ખૂબ જ મહત્વ છે. ફોર્ટીફાઈડ રાઈસના કર્નલ (F.R.K) ને પ્લાસ્ટિકના ચોખા નહી ગણતા પોષણલક્ષી આહાર તરીકે ગણી જેનો ઉપયોગ ક૨વા વધુમાં જણાવાયુ છે.