પીએમ મોદીના વિદેશ પ્રવાસ અને વિદેશો સાથે વધી રહેલા ભારતના સંબંધોની સકારાત્મક અસર દેખાવાની શરુ થઈ ગઈ છે. વિશ્વના અનેક દેશોએ પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર પીઓકેમાં વ્યાયસાયિક રોકાણ કરવાના પોતાના નિર્ણય પર ફરીવાર વિચાર કરી રહ્યાં છે. દક્ષિણ કોરિયાની ટાયલિમ ઈન્ડસ્ટ્રીયલ કંપની લિમિટેડે પીઓકેમાં પોતાના રોકાણ પર ફેરવિચાર કરવાનું શરૂ કરી દીધુ છે. ટાયલિમ કંપની પીઓકેમાં જેલમ નદીના તટ પર મુઝફ્ફરાબાદમાં ૫૦૦ મેગાવોટનો હાઈડ્રોપાવર પ્રોજેક્ટ વિકસિત કરનારી કંપનીઓના સંઘની પ્રમુખ કંપની છે.પીઓકેમાં રોકાણના નિર્ણય પર લઈને તેમના નિર્ણય પર ફરીવાર વિચાર કરનારી કંપનીઓમાં ટાયલિમ એકમાત્ર કંપની નથી. ટાયલિમની સાથે એશિયન ડેવલપમેન્ટ બેન્ક, ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન અને એક્ઝિમ બેન્ક ઓફ કોરિયાએ પણ પીઓકેમાં રોકાણને લઈને અસમર્થતા દર્શાવી છે. પીઓકેના સૂચનાપ્રધાન મુશ્તાક અહેમદ મિન્હાસે આ અંગેની જાણકારી આપી હતી.
આ ઉપરાંત દક્ષિણ કોરિયાની નાણાકીય કંપની પણ પીઓકેમાં રોકાણને લઈને ઉત્સાહિત નથી જણાઈ રહી. આવા સંજોગોમાં પીઓકેનો કોહલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ પણ સ્થગિત થઈ શકે છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર પાકિસ્તાન ખુબ જ આક્રમક રીતે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાનો અને ચીન, દક્ષિણ કોરીયા જેવા દેશોને પીઓકેમાં રોકાણ કરવા દબાણ કરી રહ્યો છે. પાકિસ્તાનનો પ્રયાસ છે કે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી પ્રોજેક્ટ પર દુનિયાભરમાંથી પીઓકેમાં રોકાણ કરવા કંપનીઓ આવે. ઉલ્લેખનીય છે કે, પીઓકેએ અવિભાજિત જમ્મુકશ્મીરનો ભાગ છે અને પાકિસ્તાને પીઓકે પર અનઅધિકૃત કબજો કર્યો છે.
જો કે પીઓકેમાં રોકાણને લઈને પહેલા સકારાત્મક માહોલ બન્યો હતો. પરંતુ ત્યારબાદ નાણાકીય સંસ્થાનો અને અનેક દેશોએ આ વિસ્તારમાં રોકાણ કરવામાંથી તેમના હાથ પાછા ખેંચ્યા હતાં. જેની પાછળ સૌથી મોટુ કારણ ગિલગિટ-બાલ્ટિસ્તાન અને પીઓકેના લીગલ સ્ટેટસનો પણ મામલો છે. પૂર્વ વિદેશ સચિવ શ્યામ શરણે કહ્યું કે, આ બધુ ભારતના રાજકીય પ્રયાસોનું પરિણામ છે. ભારત માટે એ ખુબ સારુ છે કે, વિશ્વના દેશો ભારતની ચિંતાઓને સમજી રહ્યાં છે.