ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી ગુજરાતમાં તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોના હવાઈ નિરીક્ષણ માટે આજે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,મેયર શ્રીમતી કીર્તિબાળાબેન દાણીધરીયા, મુખ્ય સચિવશ્રી અનિલ મુકીમ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર, કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા દ્વારા તેમનું સવાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાનશ્રી ભારતીય વાયુદળના વિશેષ વિમાન મારફતે ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા બાદ એરફોર્સના હેલિકોપ્ટરમાં સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના તાઉ તે વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોનું એક કલાક સુધી હવાઈ નિરીક્ષણ કર્યું હતું.આ હવાઈ નિરીક્ષણમાં મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વડાપ્રધાનશ્રી સાથે રહ્યા હતા અને તેમણે વડાપ્રધાનશ્રીને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા બચાવ અને રાહત કાર્યોથી અવગત કર્યા હતા.હવાઈ નિરીક્ષણ કર્યા બાદ તેઓ ભાવનગરથી અમદાવાદ જવા રવાના થયા હતા.
આ પ્રસંગે મ્યુનિ.કમિશનરશ્રી એમ.એ.ગાંધી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડાશ્રી જયપાલસિંહ રાઠોર ઉપસ્થિત રહ્યાં હતાં.