જીએસટીનો અમલ થયા બાદ સરકારના મહેસૂલ અને આવકમાં કેટલો વધારો થયો છે તેની સચોટ જાણકારી ઓક્ટોબર પહેલાં મળી શકશે નહીં કે જ્યારે પરોક્ષ કર પ્રણાલીનો પ્રથમ ત્રિમાસિક સમયગાળો સમાપ્ત થશે, પરંતુ પ્રથમ દિવસના આંકડાઓ જોતા જાણવા મળે છે કે મહેસૂલમાં મંથ-ટુ-મંથ આધારે ૧૧ ટકાનો વધારો થયો છે.
સેન્ટ્રલ એક્સાઈઝ અને કસ્ટમ્સ દ્વારા (સીબીઈસી) આ માહિતી આપવામાં આવી છે.
સીબીઈસીએ જણાવ્યું હતું કે ૧ જુલાઈથી ૧૫ જુલાઈ વચ્ચે આયાત દ્વારા પ્રાપ્ત કુલ મહેસૂલ રૂ. ૧૨૬૭૩ કરોડ રહ્યું હતું, જે જૂન મહિનાના સમાન સમયગાળામાં રૂ. ૧૧,૪૦૫ કરોડ હતું. આમ મોદી સરકાર માટે જીએસટી સોનાની મરઘી પુરવાર થઈ છે કારણ કે સરકારની આવકમાં માત્ર ૧૫ દિવસમાં ૧૧ ટકાનો વધારો થયો છે.
સીબીઈસીના પ્રમુખ વનજા શરનાએ જણાવ્યું હતું કે એક્સાઈઝ દ્વારા સારું એવું મહેસૂલ પ્રાપ્ત થયું છે. જોકે અમે વર્ષના આધારે વધુ વધારાની આશા રાખી શકીએ નહીં. ૩૦ જૂનની મધરાતથી પ્રથમ ૧૫ દિવસમાં કુલ રૂ. ૧૨,૬૭૩ કરોડનું મહેસૂલ પ્રાપ્ત થયું છે. જીએસટી દ્વારા પ્રાપ્ત થયેલ મહેસૂલ અંગે પ્રથમ અંદાજ ઓક્ટોબર સુધીમાં જ મળી શકશે. કારણ કે વેપારીઓ સપ્ટેમ્બરમાં રિટર્ન ભરશે. તેમણે જણાવ્યું હતું કે અમારે જીએસટી પ્રણાલીમાં ઓછામાં ઓછા એક ક્વાર્ટરના (જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર) આંકડાની જરૂર પડશે.