લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે અને ભાજપ-કોંગ્રેસે પોતપોતાના મેનિફેસ્ટો જાહેર કરી દીધા છે ત્યારે ગૃહમંત્રી રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભાજપે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કયારેય લોકોના બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની વાત જ કરી ન હતી.રાજનાથ સિંહે મંગળવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે કયારેય એવી વાત કરી નથી કે ૧૫ લાખ રૂપિયા (લોકોના ખાતામાં) આવશે. પાર્ટીએ કહ્યું હતું કે કાળા નાણાં વિરુદ્ધ કાર્યવાહી કરીશું અને કાળા નાણાં વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમારી સરકારે કાળા નાણાં માટે એસઆઇટીની રચના કરી હતી.ઉલ્લેખનીય છે કે વિદેશમાંથી કાળા નાણું પરત લાવવું એ ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં ભાજપનો મુખ્ય મુદ્દો હતો. રાજનાથ સિંહે એવા સમયે આ વાત કરી છે જ્યારે વિપક્ષ મોદી સરકાર પર ખોટા વચનો આપવા મુદ્દે પ્રહાર કરી રહ્યા છે.