ચૂંટણી સમયે સૌથી વધારે અસરકારક મુદ્દો એટલે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ મુદ્દાનું રટણ કરવામાં હવે દેશની સૌથી મોટી વિપક્ષ પાર્ટી કોંગ્રેસ પણ જોડાઇ ગઇ છે.
તાજેતરમાં જ કોંગ્રેસના મહાસચિવ હરીશ રાવતે જાહેરાત કરી હતી કે, કોંગ્રેસ સત્તામાં આવશે તો અયોધ્યામાં રામ મંદિર બનાવશે.દેહરાદૂનમાં એક સમારોહ દરમિયાન રાવતે જાહેરાત કરી હતી કે, અયોધ્યા મામલે મેં પહેલા પણ નિવેદન આપ્યું હતું કે અમારી પાર્ટી સત્તામાં આવશે તો અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એડી ચોટીનું જોર લગાવશે. મારા નિવેદનને પાર્ટીનું પણ સમર્થન છે.
રાવતે પોતાના સંબોધનમાં ભાજપા પર રામ મંદિર નિર્માણ મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કેન્દ્રએ આ મામલે એક ફેસિલિટેટરની ભૂમિકા ભજવવી જોઇએ.આ દરમિયાન તેમણે વર્તમાન સરકારની દેશમાં બેરોજગારી, ખેડૂતોની કંગાળ પરિસ્થિતિ તેમજ તાજેતરમાં પુલવામા હુમલા જેવા મુદ્દાઓ પર ટીકા કરી હતી.