મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮માંથી ૪૩ બેઠક જીતવાના ભાજપના દાવા પર સોમવારે એનડીએના સાથી પક્ષ શિવસેનાએ બીજેપીને વાસ્તવિકતા બતાવી છે. શિવસેનાએ બીજેપીના આવા દાવાને અવાસ્તવિક અને વાસ્તવિકતાથી ખૂબ જ દૂર ગણાવ્યો છે.
સેનાએ દાવો કર્યો છે કે રાજ્યમાં પરિસ્થિતિ ખૂબ જ વિકરાળ છે ત્યારે બીજેપી જે દાવો કરી રહી છે તે જાણીને નવાઈ લાગે છે. શનિવારે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસ અને મહારાષ્ટ્ર બીજેપી પ્રમુખ રાવસાહેબ દાન્વેએ દાવો કર્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણીમાં બીજેપી ૨૦૧૪ની લોકસભાની બેઠક કરતા એક બેઠક વધુ (૪૩) જીતશે.
સામનામાં વધુમાં લખવામાં આવ્યું છે કે, “લોકોના મુદ્દાઓ કરતા નીતિઓને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે. ઝાંકળના બીંદુઓ જેવી રીતે ક્યારેક જામી જતા હોય છે તેવી જ રીતે સાશકોનું દિમાગ જામી ગયું છે.
બીજેપી અને સેના વચ્ચે વણસેલા સંબંધો અંગે સામનામાં આગળ લખવામાં આવ્યું છે કે, “અમે આવી પરિસ્થિતિનું નિર્માણ નથી કર્યું. બીજેપીએ જ આ પાપના બીજ રોપ્યા હતા.” મુખપત્રમાં બીજેપીને ટોન્ટ મારતા લખવામાં આવ્યું છે કે, “જો બીજેપી પાસે ઈફસ્ અને અતિવિશ્વાસ બંને હોય તો તે મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૪૮ બેઠક પણ જીતી શકે છે. લંડન અને અમેરિકામાં પણ બીજેપીનું કમળ ખીલી શકે છે, પરંતુ તેમણે જવાબ આપવો જોઈએ કે અત્યાર સુધી રામ મંદિરનું નિર્માણ શા માટે નથી થયું?